Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

'ચુંટણીલક્ષી કોઇએ ચર્ચા કરવી નહિ'

ચર્ચાથી અમદાવાદી એટલો કંટાળ્યો કે લગાવ્યું બોર્ડ

અમદાવાદ તા. ૧૩ : અમદાવાદમાં ૧૪મી ડિસેમ્બરે મતદાન થવાનું છે, અને ચૂંટણીની છેલ્લી ઘડીઓમાં પણ ચારે તરફ રાજકારણની જ ચર્ચા થઈ રહી છે. ઘર હોય કે, પછી સોસાયટીનું ગાર્ડન કે પછી ગલ્લો કે ચાની કિટલી. બધાના મોઢે બસ એક જ વાત છે કે, આ વખતે ચૂંટણીમાં કંઈક નવાજૂની થશે કે નહીં? જોકે, ચૂંટણીની આ બધી ચર્ચાથી અમદાવાદમાં પાનનો ગલ્લો ચલાવતા જગરુપસિંહ જોરદાર કંટાળ્યા છે.

શહેરના ખોડિયારનગર વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા જગરુપસિંહ રાજપૂતે પોતાના ગલ્લે એક બોર્ડ લગાવી દીધું છે, જેમાં લખ્યું છે કે અહીં કોઈએ ચૂંટણીલક્ષી ચર્ચા કરવી નહીં. જગ્ગુભાઈના નામે જાણીતા જગરુપસિંહ રાજપૂત આ અંગે જણાવે છે કે, ચૂંટણીની ચર્ચા કરવામાં વાતનું વતેસર થઈ જતું અને તેનાથી તેઓ જોરદાર કંટાળ્યા હતા.

જગ્ગુભાઈનું કહેવું છે કે, તેમના ગલ્લે આવનારા કેટલાક ભાજપના ટેકેદાર છે અને કેટલાક કોંગ્રેસના. તેમની વચ્ચે અવારનવાર ચૂંટણીના મુદ્દે ચર્ચા શરુ થઈ જતી, અને કયારેક તો તેમની વચ્ચે ઝઘડાં પણ થઈ જતા. ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી એકેયને ટેકો ન આપનારા જગરુપસિંહને પોતાના ગ્રાહકોને ચૂંટણીના મુદ્દે ઝઘડે તે જરાય પસંદ નહોતું.

પોતાના ગ્રાહકો વચ્ચે ચૂંટણી જેવા મુદ્દાને લઈને ઝઘડા ન થાય તે માટે આખરે છેલ્લા ઉપાય તરીકે જગરુપસિંહે પોતાના ગલ્લે જ ચૂંટણીની ચર્ચા કરવી નહીં તેવું સ્ટીકર લગાવી દીધું. જોકે, સ્ટીકરમાં ભલે તેમણે ચૂંટણીની ચર્ચા ન કરવા કહ્યું હોય, પરંતુ તેનાથી તે પોતે જ ચર્ચામાં આવી ગયા છે.

આજે તેમના ગલ્લે આવનારા અનેક લોકો આવું સ્ટીકર કેમ માર્યું છે તેવું પૂછે છે, અને જગ્ગુભાઈ તેમને શાંતિથી જવાબ પણ આપે છે. તેઓ ગ્રાહકને સમજાવે છે કે, ભાજપવાળા અને કોંગ્રેસવાળા બંને મારા દોસ્ત જ છે, અને ચૂંટણીમાં જીત તો કોઈ એક જ પક્ષની થવાની છે તેવામાં આપણે અંદરોઅંદર શું કામ ઝઘડવું પડે?

જગ્ગુભાઈ ભાજપ અને કોંગ્રેસ બંનેથી નારાજ છે. તેમનું કહેવું છે કે, નેતાઓ ચૂંટણી પહેલા પણ વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે, અને ચૂંટણી પછી પણ. જોકે, પ્રજાના કામ તો કયારેય થતાં જ નથી, અને ગમે તેનું રાજ હોય, તેમાં પ્રજા હંમેશા દુઃખી જ રહે છે.

(8:02 pm IST)