Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

વડોદરાનાં 108 મંદિરોમાં દિવસમાં 2 વખત આરતી માટે લાઉડ સ્‍પીકરનો ઉપયોગ કરાશે અને હનુમાન ચાલીસાના પાઠ વાગશેઃ મિશન રામ સેતુ સંગઠનની પહેલ

કાલાઘોડા વિસ્‍તારના શ્રી પંચમુખી હનુમાન મંદિરમાં શ્રાવણના પહેલા સોમવારે લાઉડસ્‍પીકરનું વિતરણ

વડોદરાઃ ગુજરાતમાં હવે અઝાનની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા સાંભળવા મળે તો નવાઈ ન પામતા. ગુજરાતના એક શહેરમાં અનોખુ અભિયાન શરૂ કરાયું છે. ગુજરાતના ત્રીજા મોટા શહેરના મંદિરોમાં હેવ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ વાગશે. વડોદરા શહેરના 108 મંદિરોમાં હનુમાન ચાલીસા અને દિવસમાં બે વાર આરતી કરવા માટેા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલ સ્થાનિક સંગઠન મિશન રામ સેતુ દ્વારા કરવામાં આવી છે.

વડોદરાના કાલાઘોડા વિસ્તારના પંચમુખી હનુમાન મંદિરમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારના રોજ લાઉડ સ્પીકરનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. લાઉડ સ્પીકર વિતરણ કરવાની પહેલ પર રામ સેતુ મિશનના અધ્યક્ષ દીપ અગ્રવાલે કહ્યું કે, લાઉડ સ્પીકર લગાવવા પાછળનો હેતુ ભક્તો ઘરે બેસીને હનુમાન ચાલી, આરતી અને અન્ય ભક્તિ ગીત સાંભળીને તેનો લાભ ઉઠાવે તેવો છે. હકીકતમાં, કોરોના મહામારીને પગલે સરકારી ગાઈડલાઈન મુજબ અનેક મંદિરોમાં પ્રતિબંધ મૂકાયા છે. જેથી મંદિર ન જઈ શકનારા ભક્તો ઘરે જ હનુમાનચાલીસા અને આરતી સાઁભળી શકશે.

આ વિશે દીપક અગ્રવાલે કહ્યું કે, 78 મંદિરોએ લાઉડ સ્પીકર મેળવવા માટે અમારી પાસે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બુધવારથી લાઉડ સ્પીકરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નાના મોટા અનેક મંદિરોને લાઉડ સ્પીકર આપવામાં આવ્યા છે. આ માહિતીને વિશ્વ હિન્દુ પરિષદે પોતાના ફેસબુક પર શેર કરી છે.

સંગઠનના જણાવ્યા અનુસાર, ગત વર્ષે પણ કેટલાક મંદિરોને શ્રાવણ મહિના દરમિયાન લાઉડ સ્પીકર આપવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર અનેક લોકો આ બાબતને સમર્થન આપી રહ્યાં છે. લોકોનું કહેવુ છે કે, દેશના અન્ય શહેરોમાં પણ આ પ્રકારની પહેલ થવી જોઈએ.

આ મિશન અંતર્ગત મોટું મંદિર હશે તો 2 લાઉડ સ્પીકર અને નાનું હશે તો 1 લાઉડ સ્પીકર અપાશે. 78 મંદિરોના રજિસ્ટ્રેશન આવ્યાં છે. શ્રાવણના પ્રથમ સોમવારે પંચમુખી હનુમાનજી મંદિરમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી અને જશવંતસિંહ સોલંકીના હસ્તે મંદિરને લાઉડ સ્પીકર અપાયું હતું.

(6:34 pm IST)