Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

સુરતમાં સ્‍થાપત્‍ય કલાનો અદ્દભુત નુમનોઃ 200 વર્ષ પહેલા રૂા.118 લાખમાં નિર્માણ થયેલ કુવતે ઈસ્‍લામ મસ્‍જીદ માત્ર એક પિલર ઉપર ઉભી છે.

આર્કિટેકચરના અનેક વિદ્યાર્થીઓ અને નિષ્‍ણાંતો માટે આશ્ચર્ય

સુરત: કોઈ શિક્ષિત આર્કિટેક્ચર વગર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો સુરતની કુવતે ઇસ્લામ મસ્જિદ છે. અંદાજે 200 વર્ષ જૂની આ મસ્જિદ અજાયબીથી ઓછી નથી. કારણ કે, મસ્જિદ ફક્ત એક જ પિલર પર ઉભી છે. મસ્જિદની અંદર લોકોને એ સમયે ઠંડક મળી રહે તે હેતુથી 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી બનાવી છે. વોટર હાર્વેસ્ટિંગ માટે આ સુવિધા તે વખતે વિચારમાં હતી.

રાંદેર વિસ્તાર ખાતે આવેલી કુવતે ઇસ્લામ મસ્જિદ ઐતિહાસિક ધરોહર છે. આમ તો સુરતમાં ઘણી બધી ઐતિહાસિક ઇમારતો આવેલી છે, પરંતુ તાપી નદી નજીક આવેલી મસ્જિદ કોઈ અજાયબીથી ઓછી નથી. જાણીને આશ્ચર્ય થશે કે, આ મસ્જિદ અંદાજે 200 વર્ષ જૂની છે અને તેમાં પણ સૌથી અગત્યની વાત આ છે કે, આ મસ્જિદ ફક્ત એક જ પિલર પર ઉભી છે. એવું કહેવાય છે. કહેવાય છે કે, જ્યારે મુગલો સુરત આવ્યા, ત્યારે આ મસ્જિદ બંધાઈ હતી. કોઈપણ આર્કિટેક્ટની મદદ લીધા વિના મસ્જિદનું નિર્માણ કરાયું હતું. છતાં તે બેસ્ટ આર્કિટેક્ચરનો અદભૂત નમૂનો ગણાય છે. આર્કિટેકચરના અનેક વિદ્યાર્થીઓ અને નિષ્ણાંતો માટે આ બિલ્ડીંગ એક આશ્ચર્ય છે. આ જ કારણ છે કે, તેમની ઘણી ટીમ પણ અહીં આવી ચૂકી છે અને તમામ લોકો મસ્જિદની કોતરણી અને સ્ટ્રક્ચરથી પ્રભાવિત થઈને જાય છે.

મસ્જિદની સૌથી મોટી ખાસિયત તેનો એક પિલર છે, જેની પર બે માળ છે. પિલર સુધી પહોંચવા માટે દાદરથી નીચે જવાય છે. ત્રણ વ્યક્તિઓ હાથ પહોળા કરીને પકડીને ઉભા રહે તેટલી પહોળાઈનો એક પિલર થાય છે. આ એક જ પિલર એવો છે, જેના પર આખી બે માળની મસ્જિદ ઉભી છે. પિલરની બાજુમાં ચાર કમાન પર આખી મસ્જિદ સપોર્ટ પર છે. જે સ્થાપત્ય કલાનો નમૂનો આ મસ્જિદ છે. 80×65 ચોરસ મીટર વિસ્તારમાં વિસ્તરેલી છે. પિલરની ઉપરના માળ પર જમાતખાનું છે, જ્યાં નમાઝ અદા થાય છે.

રોજના 300થી 400 જેટલા નમાજી આવે છે

રિટાયર્ડ પ્રિન્સિપાલ અને મસ્જિદના પૂર્વ ટ્રસ્ટી એમ.એસ મિચલાએ જણાવ્યું હતું કે, અંડરગ્રાઉન્ડમાં આવેલો એક પિલર અને ત્યાં જ વોટર હાર્વેસ્ટિંગ માટે બનાવવામાં આવેલી વિશાળ પાણીનો ટાંકો તે સમયના કારીગરોની સૂઝબૂઝ દર્શાવે છે. જ્યાં આજે પણ મીઠું પાણી મળી રહે છે. જેનાથી અહીં આવતા નમાજીઓ નમાઝ પઢતા પહેલા હાથ પગ ધોવે છે. 200 વર્ષ પહેલા આ મસ્જિદ ફક્ત રૂપિયા 1,18,000માં બની હતી. આજે અહીં રોજના 300થી 400 જેટલા નમાઝી આવે છે. સુથાર કડીયાને 3 પૈસા રોજના આપીને કામ કરાયું હતું. મસ્જિદ પર કારીગરી ઐતિહાસિક અને પૌરાણિક છે.

આ મસ્જિદના મિનારા જમીન લેવલથી ઊંચા છે. લોકવાયકા પ્રમાણે રાંદેરના બાવા મિયા નામના વ્યક્તિએ આ મસ્જિદનું બાંધકામ કરાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 1 પિલર ઉપરાંત આ મસ્જિદની બીજી ખાસિયત છે કે, તે વખતે પંખા અને ફાયર સેફ્ટીની સુવિધા થતી નહોતી. આ બન્ને બાબતોને ધ્યાનમાં રાખીને મસ્જિદની અંદર જ 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જેથી મસ્જિદની અંદર ઠંડક પણ રહે અને વોટર હાર્વેસ્ટિંગ કરી શકાય.

(6:32 pm IST)