Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

અમદાવાદમાં મકરસંક્રાંતિમાં પોલીસ કયા ઢાબે આવીને ચેક કરવાની છે ? તેવું વિચારનારા ચેતજોઃ વોકીટોકી સાથે સજ્જ પોલીસ દુરબીનથી તમામ ઉપર નજર રાખશે

અમદાવાદ: ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે લોકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જો કે સરકાર દ્વારા ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અનુસંધાને દરેક શહેરના પોલીસ સ્ટાફ દ્વારા પણ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. તેવામાં જે લોકો આ ગાઇડલાઇનને હળવામાં લઇ રહ્યા છે તેઓએ સાવધાન થઇ જવાની જરૂર છે. પોલીસ ક્યાં ધાબે આવીને ચેક કરવાની છે તેવા વહેમમાં રહેલા લોકો સાવધાન થઇ જાય કે પોલીસ દ્વારા દરેક વિસ્તારનાં ઉંચા ધાબાઓ પર પોઇન્ટ બનાવવામાં આવશે.

વોકીટોકી સાથે સજ્જ પોલીસ કર્મચારી દુરબીન સાથે આસપાસનાં વિસ્તારોમાં નજર રાખશે. જ્યાં પણ કોઇ પણ નિયમનો ભંગ થતો દેખાશે. તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ઝોન-3 ડીસીપી મકરંદ ચૌહાણે જણાવ્યું કે, પોળ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. ધાબાના પોઇન્ટ પર અલગ અલગ રસ્તાઓ પર પણ પોલીસ કર્મચારીઓ સતત વોચ રાખશે. કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા રાજ્યનાં તમામ પોલીસ અધિકારીઓને વિડિયો કોન્ફરન્સ દ્વારા કડક રીતે ગાઇડ લાઇનના પાલનનો આદેશ અપાયો છે.

આ ઉપરાંત જે વિસ્તારમાં પતંગ અને દોરી જ્યાં વેચાય છેતે વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર ન થાય તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા ફિક્સ પોઇન્ટ રખાશે. આ ઉપરાંત વેપારીઓને પણ જાણ કરાશે કે તેઓ વધારે ભીડ ન થવા દે. ઉપરાંત ઉતરાયણ દરમિયાન નિયમોનું પાલન થાય તે માટે સ્થાનિક આગેવાનો, સોસાયટીના ચેરમેનો, રાજકીય આગેવાનોનો સંપર્ક કરી તેમની મદદ લઇને લોકોને આ બાબતે જાણ કરવામાં આવશે. લોકોમાં જાગૃતી આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.

(4:47 pm IST)