Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ગુજરાતમાં ભાજપના જવલંત વિજયનો શ્રેય સી.આર.પાટીલને - કોંગ્રેસનું વિસર્જન કરી નાખવુ જોઇએ

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ચારેબાજુ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ ભાજપના નેતાઓ દ્વારા અલગ અલગ નિવેદનબાજી કરવામાં આવી રહી છે. આ સિલસિલામાં કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાએ એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ભાજપના નેતા વજુભાઇ વાળાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે હવે કોંગ્રેસનું વિસર્જન કરી નાંખવું જોઈએ. સીઆર પાટિલના સતત પ્રયાસોથી ભાજપને ઐતિહાસિક જીત મળ્યાનું જણાવ્યું હતું.વજુભાઇ વાળાએ જણાવ્યું છે કે, મહાત્મા ગાંધીજી વખતની કોંગ્રેસ હવે એ કોંગ્રેસ રહી નથી. મહાત્મા ગાંધીજી વખતે પણ કોંગ્રેસ વીંખી નાખવી જોઈએ તેવું કહ્યું હતું. હવે આ કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સી. આર. પાટીલે પેજ કમિટી અને પ્રમુખો સુધીનું માળખું તૈયાર કર્યું તે સફળ રહ્યું છે. સતત સી. આર. પાટીલ ફોલોઅપ લેતા રહ્યા તેના કારણે ગુજરાતમાં ઐતિહાસિક સફળતા મળી છે.

શપથ વિધિ કાર્યક્રમને લઈને વજુભાઇ વાળાનું નિવેદન
શપથ વિધિ કાર્યક્રમને લઈને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, પાર્ટીનો કાર્યક્રમ છે હું પહોંચી જઈશ. હજુ તો લિસ્ટ બનશે અને આમંત્રણ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ધારાસભ્યો શપથ લેશે.

(6:07 pm IST)