Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

વડોદરાના પાદરા ગામે અકસ્માતમાં ડ્રાયવર સહિત ૩ વ્યકિતના મૃત્યુ

વડીલની અંતિમ ક્રિયા વિધી પતાવી આવતા ડોડીયા પરિવારને અકસ્માત નડ્યો

વડોદરા : જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામે પરિવારના વડીલના અંતિમક્રિયામાં ગયેલા સાવલીના ડોડિટા પરિવારની ગાડીને અકસ્માત નડતા ડ્રાઇવર સહિત 3 સભ્યોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય સભ્યોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જેના પગલે તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેના પગલે ટુંડાવ ગામમાં શોકની લાગણાી વ્યાપી છે. આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં રહેતા રાબિયા છત્રસિંહ ડોડિયા (ઉ.વ 50), ભીખીબેન હિંમતસિંહ ડોડિયા (ઉ.વ 45), 6થી 7 પરિવારના સભ્યો મારુતિ વાનમાં બેસીને વડુ ખાતે રહેતા સંબંધી રતનસિંહના સસરા મૃત્યુ પામ્યા હોવાથી તેમની અંતિમક્રિયા માટે ગુરૂવારે આવ્યા હતા. અંતિમક્રિયાનો પ્રસંગ પતાવી ડોડિયા પરિવારના સભ્ય મારુતી વાનમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે ટુંડાવ ગામે જવા માટે વડુથી નિકળ્યા હતા.

દરમિયાન પાદરા તાલુકાના મહુવડ નવાપુરા ગામ પાસે કાર ચાલકે ટક્કર મારતા મારુતિ વાન પલટી ગઇ હતી. આ ઘટનામાં રાબિયા છત્રસિંહ ડોડિયા, ભીખીબેન હિંમતસિંહ ડોડિયા અને વાન ચાલક વિજય ડોડિયાને ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય લોકોને ઇજા થતા પ્રાથમિક સારવાર માટે સરકારી દવાખાને ત્યાર બાદ સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

 

(12:46 pm IST)