Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

વડોદરામાં તાંત્રિકે વિધિના બહાને પરિણીત મહિલાને નિર્વષા કરી આચર્યું દુષ્‍કર્મઃ પીડિત મહિલાએ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પાપલીલા બહાર આવી

વડોદરા : રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી દુષ્કર્મ થઇ રહ્યાં હોવાંની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે એવામાં વડોદરા માં એક ઠગબાજે તેની પત્ની સાથે મળીને ભાવનગરમાં પીયર ધરાવતી એક મહિલા તથા તેના ભાઈ-ભાભી, બહેન-બનેવી પાસેથી તાંત્રિક વિધિ કરાવવાના બહાને રૂપિયા 31 લાખની રકમ પડાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.

મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ભાવનગરમાં પીયર ધરાવતાં અને વડોદરામાં સાસરૂં ધરાવતાં બે સંતાનોની માતા એવી એક મહિલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આપવીતી જણાવતા કહ્યું કે, “મહિલાનાં ભાવનગર સ્થિત ભાઈ-ભાભી વચ્ચે ઘરકંકાસ ચાલતો હોવાંથી જૂન 2018માં વડોદરાના તરસાલી શરદનગર સાંઈ મંદિર પાસે રહેતા હિરેન નરેન્દ્રભાઈ પુરોહિત નામક શખ્સનો જ્યોતિષ હોવાનાં કારણે સંપર્ક સાધ્યો હતો.

હિરેન પુરોહિતે ભાવનગર સ્થિત મહિલાના ભાઈનાં ઘરે આવી ગૃહદોષ અને અનિષ્ટ તત્વોના નિવારણ માટેની વિધિ કરવાના બહાને મહિલાના ભાઈ પાસેથી રૂપિયા 90,000 પડાવી લીધાં હતાં. બાદમાં હિરેન પુરોહિત મહિલાનાં સંપર્કમાં હોવાંથી તેને જૂન 2019માં મહિલાનાં ઘરે કથા કરવાના બહાને આવી તે મહિલાને પ્રસાદ આપ્યો. બાદમાં તે મહિલાની શારીરિક હાલત બગડવા લાગી.

જે અંગે મહિલાના પતિએ હિરેન પુરોહિતને પૂછતાં તેણે મહિલામાં અનિષ્ટ તત્વો પ્રવેશી ગયા હોવાનું જણાવ્યું અને તે મહિલાને ભાવનગર પીયરમાં રહેવા મોકલી દેવા સલાહ આપતાં મહિલા ભાવનગર પીયર ખાતે રહેવા આવી ગઈ હતી. જ્યાં થોડા દિવસો બાદ હિરેને ભાવનગર આવી એકાંતમાં વિધિ કરવાના બહાને તેનાં જ ઘરે કંઈક ખવડાવીને તેને અર્ધબેભાન કરી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

જો કે, ત્યાર બાદ પણ હિરેને મહિલાના માતા-પિતા અને ભાઈને તેની 15 માસ સુધી વિધિ કરવાનું કહી વડોદરા પતિ સાથે ન રહેવા દેવાનું કહ્યું. આ દરમ્યાન મહિલાના બહેન અને બનેવી પણ હિરેનના સંપર્કમાં આવતાં હિરેન પુરોહિતે મહિલાના બહેનના શરીરમાં પણ અનિષ્ટ તત્વોનો વાસ હોવાનું કહી વિધિ કરાવતા સુખશાંતિ તથા ધંધો સારો ચાલશે તેમ જણાવ્યું. જેથી હિરેને તેઓની પાસેથી રોકડ 7 લાખ તથા બે લાખના દાગીના પડાવી લીધા હતાં.

બાદમાં આ તમામ પ્રવૃતિ વચ્ચે મહિલાની વિધિ ચાલતી હોવાથી તે વડોદરા સ્થિત હિરેન પુરોહિતના ઘરે ગઈ હતી. જ્યાં હિરેને તેની પત્ની મિત્તલની હાજરીમાં જ વિધિનાં નામે મહિલાને નિર્વસ્ત્ર થવા કહ્યું હતું. જેનો મહિલાએ વિરોધ કરતાં હિરેન પુરોહિતે મહિલાને ભાવનગર સ્થિત મકાનમાં મહિલાના લીધેલી આપતિજનક તસવીરો વાયરલ કરવાની ધમકી આપી. બાદમાં ઘમકીને વશ થયેલી મહિલા પર સતત સાત દિવસ સુધી તેને ઘરમાં ગોંધી રાખી હિરેને એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે મહિલા અને તેના ભાઈની વિધિના બહાને મહિલાના ભાઈ પાસેથી રૂપિયા 22.41 લાખ પડાવ્યા હતાં.

આ સમગ્ર ઘટના અંગે ભરતનગર પોલીસ વડોદરામાં રહેતા હિરેન પુરોહિત અને તેનાં પત્ની મિતલ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાંત્રિક વિધિના નામે ઠગાઇ આચરી મહિલાના ભાઈ પાસેથી વિધિના બહાને કટકે કટકે 22.41 લાખ તથા મહિલાના બહેન-બનેવી પાસેથી રૂ. 7 લાખ રોકડા તથા રૂ. બે લાખના દાગીના પડાવી પતિ-પત્નીએ એકબીજાને મદદગારી કરી હોવાનો ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસે IPC કલમ 406, 420, 376, 328, 344, 506 (2) તથા 34 અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવને લઇ ચારે બાજુ ભારે ચકચાર મચી ગઇ છે.

(5:01 pm IST)