News of Saturday, 10th October 2020
પોલીસ માટે એક માસના ફીટનેશ પ્રોગ્રામ તથા અશ્વની હણહણાટી બોલાવતા તાલીમશાળાનો પ્રારંભઃ અમદાવાદમાં એક માસના ફીટનેશ કાર્યક્રમ અને અશ્વ તાલીમ કેન્દ્રનો શુભારંભ થયો તે પ્રસંગની તસ્વીરમાં ઉદઘાટન કરતા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર, સાંસદ, એડીશ્નલ ચીફ સેક્રેટરી હોમ સંગીતા સિંઘ, રાજયના મુખ્ય પોલીસ વડા આશીષ ભાટીયા, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, હેડ કવાર્ટરનો હવાલો ધરાવતા જોઇન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરી તથા ફીટનેશ પ્રોગ્રામ સાથે ગુન્હેગારોમાં ફફડાટ જગાવાના કાર્યક્રમનું અમલીકરણ કરનાર આર.વી.અસારી વિગેરે દ્રષ્ટિગોચર થાય છે.
રાજકોટ, તા., ૧૦: સમગ્ર ગુજરાતના પોલીસ તંત્રને કોરોના સામેની મહામારી સંદર્ભે ઘરબહાર રહી લોકોની રક્ષા કરવા સાથે તંદુરસ્ત માનસ પોલીસના રહે અને લોકો સાથેનો વ્યવહાર પણ તંદુરસ્ત અને ખુબ જ સારો રહે તે માટે સમગ્ર અમદાવાદની પોલીસ ફોજ માટે તબક્કાવાર એક માસનો યોગના વિવિધ પ્રકારો જેમાં એરેબીકસ, જુંબા, મ્યુઝીક સીસ્ટમ દ્વારા યોગા કે જેનાથી આવા કાર્યમાં કંટાળાના બદલે ઉત્સાહ રહે તે માટે નિષ્ણાંત ફીટનેસ ટ્રેનરની મદદથી અનોખુ અભિયાન શરૂ કર્યાનું અકિલા સાથેની વાતચીતમાં અમદાવાદના સેકટર-૧ના એડીશ્નલ પોલીસ કમિશ્નર આર.વી.અસારીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તેઓએ વિશેષમાં જણાવેલ કે સુખની પરીભાષા અલગ છે તેઓએ જણાવેલ કે તંદુરસ્ત માનસ અને તણાવમુકત માનસ બને તો માનવીનો વ્યવહાર પણ સામી વ્યકિત તરફ ખુબ જ માનવીય અભિગમ રહે છે. શ્રી આર.વી.અસારીએ જણાવ્યું હતું.
અત્રે યાદ રહે કે રાજયના મુખ્ય પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા સમગ્ર ગુજરાતના પોલીસ તંત્રને ચુસ્ત અને ફીટ રાખવા માટે શરૂ કરેલ અભિયાન અંતર્ગત પોલીસ ફીટનેશ કાર્યક્રમનો પ્રારંભ રાજયકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્તે થયો હતો. તેઓએ ગુજરાતમાં પ્રવર્તતી શાંતીનો યશ પોલીસને આપ્યો હતો. ઉકત પ્રસંગે અધિક મુખ્ય ગૃહ સચિવ સંગીતાસિંહ, ફીટનેશના સ્વપ્નદ્રષ્ટા અને ફીટનેશ સાથે ગુન્હેગારોમાં ફફડાટ મચાવવાનું અભિયાન શરૂ કરનાર મુખ્ય પોલીસ વડા આશીષ ભાટીયા, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, જોઇન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરી તથા મુવમેન્ટના પ્રણેતા આર.વી.અસારી વિગેરે ઉપસ્થિત રહયા હતા. ઉકત પ્રસંગે અશ્વ તાલીમશાળાનું પણ ગૃહમંત્રી હસ્તે ઉદઘાટન ઉકત મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું.
સુલતાન ગેંગપર પોલીસ તુટી પડીઃ પ ની ધરપકડઃ જેલમાં રહેલા ગેંગસ્ટરોનો કબ્જો
રાજય પોલીસ તંત્રને કોરોનાની મહામારી સામે તેઓની રાત-દિવસની તનાવયુકત ડયુટી ધ્યાને લઇ એક માસના ફીટનેશ કેમ્પનું આયોજન કરી પોલીસ તંત્રનો વ્યવહાર ખુબ જ સારો રહે અને આ ફીટનેશનો ઉપયોગ અંધારી આલમ સામે ફફડાટ મચાવનારો બની રહે તેવા વિચારનો અમલ પ્રારંભથી જ થઇ ગયો છે.
પોલીસ તંત્ર જેને ગુજરાતનું કુવિખ્યાત ચંબલ તરીકે ઓળખે છે તેવા જુહાપુરામાં મરહુમ ડોન લતીફના પુત્રના સમાવેશ સાથેની કુવિખ્યાત સુલતાન ગેંગનો સફાયો કરવાના ડીજીપી આશીષ ભાટીયા અને પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના દ્રઢ નિર્ણયનો અમલ કરવામાં આવ્યો છે.
સેકટર-૧ના એડીશ્નલ પોલીસ કમિશ્નર આર.વી.અસારીના માર્ગદર્શન હેઠળ અમદાવાદના ડીસીપી પ્રેમસુખ ડેલુ ટીમે જુહાપરામાં વિશેષ ઓપરેશન હાથ ધરી ખંડણી, મારામારી, હત્યાની કોશીષ, સરકારી જમીનો પચાવી વિજ ચોરી અને પશુઓની કતલ કરવા માટે જાણીતી સુલતાન ગેંગને ખાસ ઓપરેશન દ્વારા પાંચ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. ઉકત તમામ સામે ગુજકોટોક અંતર્ગત કાર્યવાહી થયાનું ડીસીપી પ્રેમસુખ ડેલુએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.અકિલા સાથેની વાતચીતમાં અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર આર.વી.અસારીએ જણાવેલ કે કુલ ૧૧ ગેંગસ્ટરો વિરૂધ્ધ ગુજકોટોક હેઠળ કાર્યવાહી કરી છે. આ પૈકીના ૩ આરોપી જેલમાં છે. તેઓનો કબ્જો મેળવવા કાર્યવાહી ચાલે છે. પોલીસે વસીમ ઉર્ફે બાપુ , મોહમદ જાવેદ ઉર્ફે જાડીયો, મોહમદ જુનેદ ઉર્ફે ટુકડી વિગેરેનો સમાવેશ છે. આમ અમદાવાદમાં મોટે પાયે ગેંગસ્ટરો વિરૂધ્ધ ઝુબેેશનો પ્રારંભ થયો છે. એ વાત જાણીતી છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 'કાં ગુન્ડાગીરી છોડો, કાં ગુજરાત છોડો' એવું સુત્ર આપ્યું છે જેનો વિડીયો પણ વાયરલ થયો છે.