Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

રાજ્યના 4 જિલ્લામાં કરાયો સીરો સર્વે, બ્લડ સેમ્પલમાં 74 ટકા લોકો એન્ટિબોડી ધારાવાઈ છે : મનોજ અગ્રવાલ

ચાર જિલ્લામાંથી 1 કરોડથી વધુના લોહીના સેમ્પલ લેવાયા :

ગાંધીનગર: સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને તજજ્ઞો દ્વારા અનેક આગાહી કરવામાં આવે છે, જ્યારે અનેક સંસ્થાઓ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે, ત્રીજી લહેર નહીં આવે. જ્યારે અમુક સંસ્થાઓ દ્વારા એમ પણ નિવેદન આવી રહ્યા છે કે, ત્રીજી લહેરની શરૂઆત દેશમાં થઈ રહી છે, પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ત્રીજી લહેર કેવી રહેશે. તે બાબતે કેન્દ્ર સરકારના સૂચન પ્રમાણે રાજ્ય સરકારે રાજ્યના ચાર મોટા અને મહત્ત્વના જિલ્લાઓમાં સીરો સર્વે કર્યો હતો. જેમાં 74 ટકા લોકોને એન્ટીબોડી ધરાવતા હોવાની વિગતો સામે આવી છે.

સીરો સર્વે બાબતે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યના ચાર જિલ્લાઓ જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સીરો સર્વે કરવામાં આવ્યો છે કે, જેમાં વિસ્તાર પ્રમાણે લોકોના લોહીનું સેમ્પલ લેવામાં આવ્યું છે અને તેઓને ચકાસણીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે પરિણામમાં એવું સામે આવ્યું છે કે, આ ચાર જિલ્લામાં 74 ટકા લોકોની બોડી એન્ટીબોડી થઈ હોવાની વિગતો પણ સર્વેમાં સામે આવી છે.

સેમ્પલ લેવાની વાત કરવામાં આવે તો મનોજ અગ્રવાલે લોહીના સેમ્પલ બાબતે ખાસ જણાવ્યું હતું કે, લોહીનું સેમ્પલ જે તે વિસ્તારમાં લેવામાં આવે છે. જેમાં 10થી 18 વર્ષનું બાળક હોય કે 18થી 35 વર્ષના ઉંમરના યુવાનો અને યુવતિઓ અને 35 વર્ષથી ઉપરની મહિલાઓ અને પુરુષોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે મળતી માહિતી પ્રમાણે ચાર જિલ્લામાંથી 1 કરોડથી વધુના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 74 ટકા લોકોને એન્ટીબોડી હોવાનું સામે આવ્યું છે.

જો ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય, ત્યારે ઘરના અન્ય લોકોને પણ તે રોગ લાગે છે અથવા તો જો બીજા વ્યક્તિની ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોય ત્યારે તે રોગ સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. આમ નાના બાળકોમાં પણ એન્ટીબોડી ઉત્પન્ન થઈ હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, ત્યારે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં એન્ટીબોડીનું વધુ પ્રમાણ પણ એક સારા સમાચાર હોવાનું સાબિત થશે.

આ ઉપરાંત રાજ્યમાં અત્યારે પાંચ કરોડ જેટલાને કોરોનાનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે, ત્યારે નવેમ્બર માસમાં જો અત્યારે જે રીતે રાજ્ય સરકારને વ્યક્તિનો સપ્લાય પ્રાપ્ત થઈ રહ્યો છે તેવી જ રીતે સપ્લાય પ્રાપ્ત થશે. તો નવેમ્બર માસના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ સો ટકા પૂર્ણ કરવામાં આવશે. જેથી ત્રીજી લહેરને રોકવા માટે 100 ટકાનો પ્રથમ ડોઝ પણ મહત્વનો રહેશે. ઉલ્લેખનીય છે કે, 9 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ 5,13,75,419 જેટલા ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 1.5 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ વેક્સિનેશનથી પણ એન્ટીબોડી ઉત્પન્ન થતી હોવાના કારણે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવામાં સફળતા મળશે.

(9:17 am IST)