Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યના મહાનગરોના મેયર-સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન-મ્યૂનિસીપલ કમિશનરઓની બેઠક ગાંધીનગરમાં યોજાઇ

ર૦રર અંત સુધીમાં ૧૦૦ ટકા નલ સે જલ-રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર-ટી.પી સ્કિમ-સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો પૂર્ણ કરી સ્માર્ટ-ડિઝીટલ-વાઇફાઇ યુકત નગરો બનાવવા આહવાન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી:મહાનગરોના સ્લમ એરિયાના લોકોને ઘર આંગણે આરોગ્ય સુવિધા વિનામૂલ્યે આપવા ૩ હજારથી વધુ વસ્તીએ દીનદયાળ ઔષધાલય પ્રધાનમંત્રીના આગામી જન્મદિવસે તા.૧૭મી સપ્ટેમ્બરથી શરૂ કરાશે :ગરીબોના બેલી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી જન્મદિવસે તા.૧૭મી સપ્ટેમ્બરે રાજ્યમાં જિલ્લા-તાલુકા નગરો-મહાનગરોમાં ૪૦૦થી વધુ સ્થળોએ ગરીબ હિતલક્ષી કાર્યક્રમો:ઉજ્જવલા યોજના 2.0 અન્વયે ગુજરાતમાં ૩ લાખથી વધુ ગરીબ પરિવારોને રાંધણ ગેસ કનેકશન અપાશે:કોરોના વેકસીનેશનમાં ૧૦૦ ટકા વેકસીનેશન પૂર્ણ કરનારા ૭૧૦૦ ગામોના સરપંચોને સન્માનપત્રો એનાયત

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોના મેયરઓ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને મ્યૂનિસિપલ કમિશનરોની સંયુકત બેઠકમાં આગામી ર૦રરના અંત સુધીમાં મહાનગરોમાં ૧૦૦ ટકા નલ સે જલ, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટી.પી સ્કિમોના કામો, આવાસ યોજનાઓ ઝડપથી પૂર્ણ કરવા આહવાન કર્યુ છે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના મહાનગરો-શહેરો વિશ્વકક્ષાના આધુનિક અને અદ્યતન બને તે દિશામાં મહાનગરોના સત્તાતંત્રોએ હાથ ધરેલી વિવિધ કામગીરી, બેસ્ટ પ્રેકટીસીસનું આદાન-પ્રદાન તેમજ કોમન પોઇન્ટ પર ચર્ચા-વિચારણા કરીને રાજ્યના મહાનગરોને વધુ પ્રાણવાન બનાવવાનું સામૂહિક મંથન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં નગરો-મહાનગરો સહિત જિલ્લાઓમાં આગામી તા.૧૭મી સપ્ટેમ્બરે ગરીબોના બેલી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની રાજ્યભરમાં ૪૦૦થી વધુ સ્થળોએ ગરીબ કલ્યાણ લોકહિત કામોથી ઉજવણી કરાશે તેની પણ વિસ્તૃત વિગતો આ તકે આપી હતી.
મુખ્યમંત્રીએ આ ઉજવણીની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યના મહાનગરોમાં સ્લમ વિસ્તારોમાં ૩ હજારથી વધુ વસ્તીએ પોતાના ઘરઆંગણે સ્લમ એરિયા નજીક જ આરોગ્ય સુવિધા મળી રહે તે માટે દીનદયાળ ઔષધાલય તા.૧૭મી સપ્ટેમ્બર શરૂ કરાશે.
દરરોજ સાંજે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી આ ઔષધાલયો દ્વારા સ્લમ એરિયાના શ્રમિકો-શ્રમજીવીઓને વિનામૂલ્યે દવા અને તબીબી સારવાર-સેવા મળતી થશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશની માતા-બહેનોને પરંપરાગત ચૂલા-સગડીમાંથી નિકળતા ધૂમાડામાંથી મૂક્તિ અપાવવા અને રસોઇઘરમાં આરોગ્યપ્રદ વાતાવરણ જાળવી રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉજ્જવલા યોજનાની શરૂઆત ૨૦૧૬માં કરી હતી.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનના જન્મદિવસે તેમની આ ફલેગશીપ સ્કિમ ઉજ્જવલા યોજના-૨.૦ અંતર્ગત રાજ્યમાં ૩ લાખથી વધુ પરિવારોને રાંધણ ગેસ કનેકશન અને સિલિન્ડર આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં સમગ્ર દેશે કોવિડની બે-બે લહેર સામે મક્કમતાપૂર્વક લડત આપી છે. ભારતમાં પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત દેશભરમાં શરૂ થયેલું કોવિડ રસીકરણ અભિયાન સમગ્ર વિશ્વનું સૌથી ઝડપી અને વ્યાપકપણે ચાલી રહેલું રસીકરણ અભિયાન સાબિત થયું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રાજ્યના એવા ૭૧૦૦ ગામો જ્યાં ૧૦૦ ટકા કોરોના રસીકરણ પૂર્ણ થયું છે તે ગામોના સરપંચોનું પ્રમાણપત્રથી સન્માન કરાશે.  
વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના તમામ ગામોમાં સ્વચ્છતા અભિયાન અન્વયે શૌચાલયોના શોષ ખાડાનું રિપેરીંગ, સામૂદાયિક-જાહેર શૌચાલયોના શોષ ખાડાની મરામત, નવા શૌચાલયોનું નિમાર્ણ અને જરૂરિયાત જણાય ત્યાં શૌચાલય પૂન: નિર્માણ, મરામતના કામો પણ પ્રધાનમંત્રીના જન્મદિવસે હાથ ધરવામાં આવશે.
એટલું જ નહી, કોરોના કાળ દરમ્યાન કોરોનામાં માતા અથવા પિતા બેમાંથી કોઇ એક ગુમાવનારા અનાથ નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે રૂ. બે હજારની માસિક સહાય પણ ડી.બી.ટી.થી આપવાનો પ્રારંભ કરાશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગરીબોના બેલી વડાપ્રધાનના આવનારા જન્મદિવસે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ કાર્યક્રમો રાજ્ય સરકાર યોજવાની છે.
મુખ્યમંત્રીએ મહાનગરોમાં લાઇટ, પાણી, ગટર, રસ્તા, સફાઇના બેઝિક કામોને પ્રાયોરિટી આપવા પદાધિકારીઓ અને કમિશનરોને સૂચન કર્યુ હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે રાજ્ય સરકાર મહાનગરો-નગરોના વિકાસકામો માટે પૂરતા પૈસા-નાણાં આપે છે ત્યારે મહાનગરો પણ પોતાની નાણાંકીય સ્થિતી મજબૂત કરે અને ફાયનાન્સીયલ ડિસીપ્લીન જાળવી વિકાસના કામો ત્વરાએ ઉપાડી જ્યાં માનવી ત્યાં સુવિધા સાકાર કરે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મહાનગરોના મ્યૂનિસીપલ કમિશનરોએ પોતાના મહાનગરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના, લેગેસી વેસ્ટ નિકાલ, રેગપીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના, એસ.ટી.પી., નલ લે જલ, ટી.પી સ્કિમ અને ફાટકમુકત ગુજરાત તહેત રેલ્વે ઓવરબ્રીજ, રેલ્વે અંડરબ્રીજની હાથ ધરાઇ રહેલી કામગીરીના પ્રેઝન્ટેશન કર્યા હતા.
શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીએ બેઠકનો ઉદેશ્ય સ્પષ્ટ કર્યો હતો.
આ બેઠકમાં ગુજરાત મ્યૂનિસીપલ ફાયનાન્સ બોર્ડ અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગરના મેયરઓ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનઓ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઓ.એસ.ડી. કમલ શાહ તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.  

(9:48 pm IST)