Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રાજ્યમાં નોટરીની કુલ ૧,૬૬૦ જગ્યાઓ ભરવા માટે આગામી તા.૧૬મેથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા શરૂ કરાશે : કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જાહેરાત

ગામ-તાલુકામાં નોટરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્ધાર :બોટાદ, પોરબંદર, મોરબી, દેવભૂમિદ્વારકા, નર્મદા, ડાંગ, તાપી અને છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારોની પ્રથમ તબક્કામાં તેમજ બાકીના જિલ્લાના ઉમેદવારોની ઇન્ટરવ્યુ પ્રક્રિયા તબક્કાવાર શરૂ કરાશે

ગાંધીનગર :નાગરિકોને પોતાના ગામ-તાલુકામાં વધુ સરળતાથી નોટરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્ધાર સાથે ગુજરાતમાં નોટરીની કુલ ૧,૬૬૦ જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં બોટાદ, પોરબંદર, મોરબી, દેવભૂમિદ્વારકા, નર્મદા, ડાંગ, તાપી અને છોટાઉદેપુર એમ આઠ જિલ્લાના ધારાશાસ્ત્રીઓ-ઉમેદવારો માટે આગામી તા.૧૬ મે-૨૦૨૨ના રોજ ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેમ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.
મંત્રી ત્રિવેદીએ કહ્યું હતું કે ઇન્ટરવ્યુની સમગ્ર પ્રક્રિયા ઝડપી, સરળ અને ન્યાયિક થાય તે માટે કુલ ત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે. નોટરીની કુલ-૧,૬૬૦ જગ્યાઓ માટે ધારાશાસ્ત્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. રાજ્યભરમાંથી આવેલી અરજીઓની સ્ક્રુટીની કર્યા બાદ ૧૦,૪૨૭ જેટલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવ્યા છે. આ  ઇન્ટરવ્યુની કામગીરી આગામી સપ્તાહથી એટલે કે તા. ૧૬-૫-૨૦૨૨થી બ્લોક નં-૧ના ચોથા માળે, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબજ  ઝડપી પૂર્ણ કરીને રાજ્યભરમાં ૧,૬૬૦ જગ્યાઓ ઉપર નોટરીઓની નિમણૂક આપવામાં આવશે.
મંત્રીએ ઉમેર્યુ હતુ કે ઇન્ટરવ્યુ અંગેની કામગીરી અર્થે તા.૫ મે-૨૦૨૨ના રોજ અખબારમાં જાહેરાત તેમજ કાયદા વિભાગની વેબસાઇટ ઉપર પણ  વિગતો પ્રસિધ્ધ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં જિલ્લા મુજબ યોજાનાર ઇન્ટરવ્યુના ઉમેદવારોના કોલલેટર વેબસાઇટ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ તબક્કાવાર બાકીના જિલ્લાના ઉમેદવારોના ઇન્ટરવ્યુની તારીખની વિગતો પણ આ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે.
‘નોટરી’ સમાજ જગતમાં ખુબ જ ઉપયોગી છે અને તેની વિશ્વસનીયતા પર ક્યારે સવાલ ઉભો ન થાય તેની તકેદારી રાખવાની જવાબદારી નોટરી ધારાશાસ્ત્રીની છે. હાલ જે નોટરી છે તે અને વ્યક્તિગતમાં નોટરી થશે તે તમામ ધારાશાસ્ત્રીને ટકોર કરતા મંત્રીએ કહ્યું કે નોટરી કરતી વખતે કરવામાં આવતી ઓળખ સહીત-વિગતો દરમ્યાન કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે તે જરૂરી છે. નોટરીની થોડી પણ બેદરકારી, ભારે નુકશાનમાં પરિણમી શકે છે, આવી ક્ષતિ કોઈ નાગરિકના  હકકમાં કાયમ માટે દાગ લગાડી શકે છે તે અંગે તકેદારી રાખવા ભારપૂર્વક મંત્રીએ ઉમેર્યુ હતું.
નોટરી દરમ્યાન બેદરકારીથી બની ગયેલા બનાવટી પાવર ઓફ એટર્ની થકી જમીન હડપ  થઇ ગયાના અનેક કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે. જેથી આ પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલા ધારાશાસ્ત્રીઓ પૂરતી તકેદારી રાખીને નોટરી કરે જેથી કોઈની જમીન હડપ થઇ જવાના બનાવ ન બને તેવી પણ તાકીદ મંત્રીએ કરી હતી.

   
 
   
(8:27 pm IST)