Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વડોદરાના તરસાલી રોડ નજીક સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીના ઉપરાંત 1.80 લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા:શહેરના તરસાલી રોડ ઉપર આવેલી આશીર્વાદ સોસાયટીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો મુખ્ય દરવાજાનો નકૂચો તોડી તિજોરીના લોકરમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા સહિત 1.80 લાખની મત્તા ચોરી નાસી છૂટયા હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે મકરપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ભરૂચના રહેવાસી અને હાલમાં તરસાલી રોડ ઉપર આવેલી આશીર્વાદ સોસાયટીમાં રહેતા જુગલ સોદાગર 02જી મેના રોજ મકાનને તાળું મારી પરિવાર સાથે મુંબઈ કામ અર્થે ગયા હતા. બે દિવસ બાદ પાડોશીએ મકાનના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હોવાનું જણાવ્યું હતું. જેથી જુગલભાઈ પરિવાર સાથે પરત વડોદરા દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા તિજોરીનો સામાન વેરણછેરણ નજરે ચડયો હતો. અજાણ્યા તસ્કરો તિજોરીના લોકરમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી ,સોનાનો સિક્કો, ચાંદીના સિક્કા ,ચાંદીની પાયલ, ચાંદીની વીંટી , સોનાનું બ્રેસલેટ અને  રોકડા રૂપિયા 19 હજાર મળી 1.80 લાખની મતા ચોરી નાશી છૂટ્યા હોવાનું બહાર આવ્યું હતું.

(5:12 pm IST)