Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે ભૂમિપૂજન

વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માટે નવા રોડની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી: અગાઉના વર્ષોમાં ગુજરાતમાં વાર્ષિક કૃષિ આવક રૂ. ૭ હજાર કરોડ હતી, આજે આવક રૂ.૧ લાખ ૪૦ હજાર કરોડે પહોંચી : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભૂમિપૂજન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતોની આવક વધે તે માટે નર્મદા, સુજલામ સુફલામ અને  સૌની સિંચાઈ યોજના પગલે ગુજરાતની ખેતી સમૃદ્ધ બની છે. પરિણામે, અગાઉના વર્ષોમાં ગુજરાતની કૃષિ આવક વાર્ષિક રૂ ૭ હજાર કરોડ જેટલી હતી, જે આજે વધીને રૂ.૧ લાખ ૪૦ હજાર કરોડે પહોંચી છે. જો મને પૂછવામાં આવે કે નરેન્દ્રભાઈના ઉત્તમ કાર્યો ગણાવો, તો હું સૌથી પ્રથમ ક્રમે નર્મદા યોજનાને મુકું. તેમણે આ અંગેનું કારણ વર્ણવતા કહ્યું કે, નર્મદા યોજના તેમ જ વિવિધ સિંચાઈ યોજનાઓ અને જળસંચય ઝુંબેશના કારણે ગુજરાતમાં જળ-સમસ્યાનો ઉકેલ આવ્યો અને કૃષિ અને સંલગ્ન વ્યવસાયોમાં સમૃદ્ધિ આવી, જેને ગુજરાતના ગ્રામ્ય અર્થતંત્રની કાયાપલટ થઈ છે. 

    નીતિનભાઈએ વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંચાલન-મંડળને અભિનંદન પાઠવતા કહ્યું કે, નવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ 11 વીઘામાં આકાર પામશે, જેના કારણે ખેડૂતોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મહત્વને રેખાંકિત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સહકારી વ્યવસ્થાના કારણે ખેડૂતોના માલની હરાજી થતા સારા ભાવ મળે છે, સાચો તોલ થાય છે અને ખેડૂતને તરત જ નાણા મળે છે જેના પરિણામે ખેડૂત વધુ ખમીરવંતો બન્યો છે.  હું છેલ્લા 37 વર્ષથી કડી માર્કેટયાર્ડમાં સભ્ય હોવાના કારણે મને ખેતી-ખેડૂતની સમસ્યાઓની સારી પેઠે જાણ છે. વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગુજરાતની સૌથી જૂની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પૈકીની એક છે, અને આ સમિતિએ કરેલી પ્રગતિનો મને વિશેષ આનંદ છે.
   નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે નવો રોડ મંજૂર કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે ઉપસ્થિત સભાસદોને ગુજરાત સરકારની કૃષિ સંલગ્ન યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ ભારત સરકારે કૃષિ પેદાશોના ટેકાના ભાવે ખરીદીમાં કરેલી જાહેરાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગુજરાત સરકાર ઝડપથી તેનું અમલીકરણ કરશે. નાયબ મુખ્યમંત્રીએ આ અવસરે રોજગાર-સર્જન સંદર્ભે વાયબ્રન્ટ ગુજરાતનું ઉદાહરણ આપતા કહ્યું કે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાતના પગલે વૈશ્વિક કંપનીઓ આવતા સાણંદ-વિરમગામ-માંડલ વગેરે ક્ષેત્રોમાં મોટાપાયે રોજગાર-સર્જન થયું છે.
  આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા, પૂર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબહેન પટેલ,  વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન લખુભા ચાવડા, ગુજરાત  ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના પૂર્વ ચેરમેન કુશળસિંહ પઢેરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, મહામંત્રી  નવદીપ ડોડિયા, વાસુદેવભાઇ પટેલ, મયુરભાઇ ડાભી, હરિભાઇ કોળી પટેલ, યોગેશભાઇ પટેલ, રમેશભાઇ કોળી પટેલ, ભાજપના હોદ્દેદારો, તાલુકા-જીલ્લા સદસ્યો, કાઉન્સિલરો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભૂમિપૂજન પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા તેમ જ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્ર યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:45 pm IST)