Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

આંકલાવ તાલુકાના નવાખલ ત્રણ રસ્તા નજીક ટ્રકે વૃદ્ધને હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

 આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ત્રણ રસ્તા નજીક ગતરોજ બપોરના સુમારે એક ટ્રકે રસ્તા પરથી ચાલીને પસાર થઈ રહેલ એક વૃધ્ધને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થવાના કારણે વૃધ્ધનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતું. 

આ બનાવ અંગે આંકલાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંકલાવની ગણેશ તલાવડી પાસે લીમડીવાળી માતા નજીક રહેતા રણછોડભાઈ ઠાકોર (ઉં.વ.૮૦) ગઈકાલ બપોરના સુમારે નવાખલ ત્રણ રસ્તા નજીકથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન પુરપાટ ઝડપે આવી ચઢેલ એક ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રાહદારી રણછોડભાઈને અડફેટે લેતાં રણછોડભાઈ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા.

 તેઓના માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોએ ૧૦૮ ઈમરજન્સી સેવાને જાણ કરતા ઈમરજન્સી વાન તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને રણછોડભાઈ ઠાકોરને સારવાર અર્થે નજીકની હોસ્પિલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અરવિંદભાઈ ઠાકોરની ફરિયાદના આધારે અજાણ્યા ટ્રકચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:13 pm IST)