Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

અમદાવાદના બોપલમાં પુત્ર અલ્‍પેશ પલાણના આપઘાતથી પિતા આઘાતમાં સરી પડયાઃ બીજા દિવસે ગળેફાંસો ખાઇને મોત મીઠુ કર્યું: પિતા-પુત્રના મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડયુ

બન્‍નેના આપઘાતના કારણ અંગે પોલીસ તપાસનો ધમધમાટ

અમદાવાદ: બોપલમાં પિતા પુત્રના આપઘાતની ઘટના સામે આવી છે. દેવું થઈ જતા પુત્રએ આપઘાત કર્યો તો બીજા દિવસે પુત્રના મોતના આઘાતમાં પિતાએ પણ આપઘાત કરી લીધો હતો. પિતા અને પુત્રનું એક સાથે અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું. જો કે આ બંન્ને પિતા પુત્રએ શા માટે આપઘાત કર્યો તે સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી છે.

બોપલમાં રહેતા અને મૂળ સાવરકુંડલાના પિતા-પુત્રના આપઘાતથી ચકચાર મચી ગઇ છે. સરખેજ મકરબા રોડ પર આવેલ ઓફિસમાં પુત્ર અલ્પેશ પલાણએ 5 સપ્ટેમ્બરના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અલ્પેશ આપઘાત કરવા પાછળનું કોઈ કારણ નહીં હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. જેમાં હુ મારી મરજીથી મારા અંગત કારણોસર આ પગલું ભરું છું. જેથી પોલીસ કોઈને પણ હેરાન ન કરે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પુત્ર અલ્પેશના આપઘાતથી પિતા આઘાતમાં સરકી ગયા અને બીજા દિવસે પિતા બળવંતભાઈ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

પુત્ર અલ્પેશના આપઘાત કરવા પાછળનું પ્રાથમિક કારણ દેવું હોવાનું સામે આવ્યું છે. હાલ બે બનાવ સ્થળ હોવાથી સરખેજ અને બોપલ પોલીસે અકસ્માત નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે બીજી બાજુ વૃદ્ધ પિતા બળવંતભાઈએ આપઘાત કરી લેવાના કેસમાં પોલીસે પરિવારના નિવેદન લઇ તપાસ શરૂ કરી છે કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

(5:32 pm IST)