Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

નર્મદા ડેમની જળસપાટી 119.02 મીટરે પહોંચી : છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 63 સેમીનો વધારો

ડેમમાં ઉપરવાસમાંથી 32,654 ક્યુસેક પાણીની આવક : હાલ 4775.17 MCM લાઈવ સ્ટોરેજ

અમદાવાદ :ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 63 સેમીનો વધારો નોંધાયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 32,654 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સાથે જ ઉપરવાસમાં સારો વરસાદ  વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 119.02 મીટર થઈ ગઇ છે. પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં હાલ 4775.17 MCM લાઈવ સ્ટોરેજ છે.

નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા દિવસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સામાન્ય રીતે સરેરશ દરરોજ સપાટીમાં પાંચ સેન્ટિમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. અને, જો ઉપરવાસમાં સતત વરસાદ વરસશે તો ડેમ ઓવરફલો પણ થઇ શકે છે. અને, ડેમ ઓવરફલો થવાની સાથે જ ગુજરાતનો પાણીનો પ્રશ્ન હલ થશે.

  જોકે ગતવર્ષ કરતા નર્મદા ડેમની સપાટી હજુ પણ 17 મીટર જેટલી ખાલી છે.કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તે ચિંતાનો વિષય છે. તેમજ જો નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નહિ થાય તો આગામી દિવસો ગુજરાત માટે પાણીને લઇને કપરા બની શકે છે.

(11:17 am IST)