Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

અમદાવાદના કૃષ્‍ણનગરમાં 63 વર્ષના વૃદ્ધ સાથે દાદાગીરી કરનાર પોલીસ કોન્‍સ્‍ટેબલ સસ્‍પેન્‍ડઃ ભાવેશ રાવલે મે મહિનામાં ઝઘડો કરીને ધમકી આપી હતી

બંને પોલીસ કર્મચારીઓએ અનેક લોકોને માર માર્યો છેઃ સોસાયટીના લોકોનો આક્રોશ

અમદાવાદ: અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી હતી. સોસાયટીનાં એક સિનિયર સિટીઝન પર હુમલો કરતા પોલીસકર્મી સહિત ચાર વ્યક્તિઓ વિરુધ  ફરિયાદ નોધાઇ હતી. જે અંગે ગુજરાત પોલીસની સીઆઇડી ક્રાઇમ શાખા દ્વારા કડક કાર્યવાહી કરાતા કોન્સ્ટેબલ ભાવેશ રાવલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ભાવેશ રાવલ અગાઉ કરેલી ફરિયાદની અદાવત રાખીને પોલીસ કર્મચારી અને તેના પરિવારે મિત્રોને બોલાવી આ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે સ્થાનિક રહીશોમાં પણ દહેશત ફેલાઈ હતી. આ કાયદાનો ભક્ષક પોલીસ કર્મચારીનો સમગ્ર વિસ્તારમાં ખોફ છે છતા પણ સ્થાનિક પોલીસ સતત તેને છાવરતી રહી હતી.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલીં મહાસુખ નગર સોસાયટીમાં પોલીસ કર્મચારી અને તેના મિત્રો રીતસરની દાદાગીરી કરતા નજરે પડ્યા. એટલું જ નહી એક સિનિયર સીટીઝનને એક્ટિવા પર ઘરે પરત ફરતા દરમ્યાનમાં તેમને અટકાવીને હુમલો કર્યો. ઘટનાની વાત કરીએ કે કૃષ્ણનગર મહાસુખનગરમાં રહેતા 63 વર્ષીય કનકભાઈ શાહએ અગાઉ પોલીસ કર્મચારી ભાવેશ રાવલ અને તેના મિત્ર ભાર્ગવ પટેલે સોસાયટીની ઓફીસમાં પ્રવેશ કરીને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી. જેની અદાવત રાખીને ભાવેશ રાવલ, ભાર્ગવ પટેલ અને તેના મિત્રો તેમજ પરિવાજનોએ લાકડા અને પાઇપોથી કનકભાઈ પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આ ઘટનાને પગલે  સ્થાનિકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

આરોપી ભાવેશ રાવલ ગાંધીનગરમાં CID ક્રાઇમના સીઆઈ સેલમાં ફરજ બજાવે છે. છેલ્લા 10 વર્ષથી મહાસુખનગર સોસાયટીમાં રહે છે. ભાવેશ રાવલ અને તેનો મિત્ર ભાર્ગવ પટેલની સોસાયટીમાં દાદાગીરી હોવાનો આરોપ રહીશોએ લગાવ્યો છે. અગાઉ પણ માર્ચ માસમાં સોસાયટીના ચેરમેનનું ઇલેક્શન હતું ત્યારે ભાર્ગવ પટેલ ઇલેક્શનમાં ઉભા હતા. પરંતુ ઇલેક્શન હારી જતા તેઓએ સોસાયટીના કમિટી મેમ્બર સાથે તકરાર અને દાદાગીરી શરૂ કરી હતી. સોસાયટીમાં પ્રવેશ ગેટ લગાવતા મેં મહિનામાં ભાવેશ રાવલે કમિટી મેમ્બર કનકભાઈ શાહ સાથે ઝઘડો કરીને ધમકી આપી હતી.

જે બાબતની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ ફરિયાદની અદાવત રાખીને કનકભાઈ પર ફરી હુમલો કરવામાં આવ્યો. એટલું જ નહીં આ બંન્ને મિત્રોએ સોસાયટીના અનેક લોકોને માર માર્યો હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો હતો. હાલમાં કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સોસાયટીના રહીશો પોલીસ કર્મચારીની આવી દાદાગીરીથી પરેશાન છે. એક તરફ કાયદાનો રક્ષક કાયદો હાથમાં લઈને દાદાગીરી કરે છે. જ્યારે બીજી તરફ પોલીસ કર્મચારી હોવાથી પોલીસ છાવરી રહી હોવાનો રોષ રહીશોએ વ્યક્ત કર્યો હતો. ત્યારે સોસાયટીના વિવાદ વચ્ચે ફરી પોલીસની છબી પર સવાલ ઉઠ્યા છે.

(4:27 pm IST)