Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

ડેડીયાપડાના ગારદામાં નલ સે જલ યોજનાનું સુરસુરીયું, ઉનાળાની ગરમીમાં ઓછું પાણી મળતું હોવાની બુમ

ગુજરાતના ઘરે ઘરે નળથી પાણી આપવાની યોજના હેઠળ 2022 ના અંત સુધીમાં ગુજરાતના એકેએક ઘરમાં નળથી પાણી પહોંચાડી દેવામાં આવશે ની વાત અમુક ગામોમાં પોકળ જોવા મળી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના ડુંગરાળ વિસ્તારના આદિવાસીઓના ઘરે પણ પાણી પહોંચી જાય તે માટે સરકારે લિફ્ટ ઇરિગેશનની પદ્ધતિનો આશરો લઈ રહી છે. આ સાથે જ પાણી જન્ય રોગોથી ગુજરાતની જનતાને બચાવવા માટે દરેક ઘરે ફિલ્ટર પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. પરંતુ આ તમામ કામોમાં ખૂબજ મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાની બુમ સાથે કામમાં વેઠ ઉતારવામાં આવી હોવાનું પણ સંભળાઈ રહ્યું છે

પાણી પુરવઠા વિભાગની નલ સે જલ યોજનામાં ડેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોની કામગીરીઓમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લઇ ગ્રામ્ય વિસ્તારોમાં આ યોજના મોટે ભાગે શોભાના ગાંઠિયા સમાન બની છે. સરકાર દ્રારા ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓની સુવિધા માટે પાણી પુરવઠા વિભાગ થકી ઘર આંગણે નળ માંથી સીધુ પાણી ભરી લેવાની યોજના અમલમા મુકી છે. જે ખરેખર આવકારદાયક છે પહેલાના સમયમા મહેનત મજુરી કરી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પોતાના પરિવારો માટે ન્હાવાથી લઇને ધર વપરાશનું પાણી ભરવા માટે કુવા કે હેન્ડપંપનો સહારો લેવો પડતો હતો.

સરકારે નલ સે જલ યોજના અમલ મુકી અને આ ઝંઝટ માંથી  છુટકારો આપવાનો હેતુ હતો પરંતુ આ યોજના શરૂ થઇ છે ત્યારથી અધિકારીઓ, પદાધિકારીઓ, કોન્ટ્રાક્ટરની મિલીભગત થી આ કામગીરીની પાણીની પાઇપો લાઇનોમાં નિયમ મુજબ કામ થતું નથી. યોજના બન્યા બાદ મોટા ભાગના ડેડીયાપાડા તાલુકાઓના ગામડાઓમાં ભર ઉનાળે શોભાના ગાંઠીયા સમાન આ યોજના થઇ પડી છે. ત્યારે ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે નલ સે જલ યોજના અમલમાં આવી છે. પરંતુ તમામ કામમાં વેઠ ઉતારવામાં આવી છે. પાણીની તમામ લાઈન ઉપર જ દાટવામાં આવી હોવાથી વારંવાર તૂટી જાય છે અને પાણીનો ખૂબ જ પ્રમાણમાં બગાડ થઈ જાય છે. અને નળમાં પાણી ૧૫ મિનિટ પણ આવતું નથી, જેથી આ યોજનામાં થયેલ ભારે ગોબાચારી અને ભ્રષ્ટાચારને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ દિવસો ચાલી રહ્યા છે. ત્યારે પછાત આદિવાસી વિસ્તારમાં સરકારી કામોમાં ચાલતી ગેરરીતિ અને ભ્રષ્ટાચારને તપાસ હાથ ધરવામાં આવે તો સત્ય બહાર આવે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે

નલ સે જલ યોજનાની કામગીરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે તટસ્થ તપાસ કરાઇ તો ફક્ત ગારદા ગામ જ નહીં પરંતુ, ડેડીયાપાડા તાલુકાના અન્ય ગામો માંથી પણ મોટુ કૌભાંડ બહાર આવે તેમ લાગી રહ્યું છે .

(11:26 pm IST)