Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ગીતાના પાઠનો બોધ લેવા ફૂટબોલના મેદાનમાં જવુ જોઇએ, સ્વામીવિવેકાનંદજીનુ કથન આત્મસાત કરવા વિજયભાઇની અપીલઃ અમદાવાદમાં રાજયમા સૌપ્રથમ આયોજીત નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સૌ પ્રથમ વાર યોજાયેલી નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર સંતોષ ટ્રોફી ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

આ ૭રમી રિલાયન્સ નેશનલ સિનીયર ચેમ્પીયનશીપની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ અમદાવાદ ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાઇ રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ ફૂટબોલના ખેલાડીઓને પ્રેરણા આપતા સ્વામી વિવેકાનંદના કથનનું સ્મરણ કરતા જણાવ્યું કે તેઓ કહેતા કે, ગીતાના પાઠનો બોધ લેવા ફૂટબોલના મેદાનમાં જવું જોઇએે. શ્રી વિજયભાઇ રૂપાણીએ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓને આ કથન આત્મસાત કરવા આહવાન કર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતના વૈશ્વિક વિકાસની સાથોસાથ રમતગમત ક્ષેત્રે પણ  ગુજરાત અવ્વલ રહે તે માટે તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભ અને ખેલે ગુજરાત દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે અને તે માટે ખેલાડીઓને અદ્યતન સુવિધાઓ મળી રહે તે માટે સ્ટેડિયમો પણ નિર્માણ કર્યા છે.

            મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ફૂટબોલની શરૂઆત ૧૯૪૧માં બંગાળથી થઇ હતી. જે રમત આજે વિશ્વ વિખ્યાત બની ગઇ છે. તેમણે આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓને ગુજરાતની જનતા વતી શુભેચ્છા પાઠવીને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામના પાઠવી હતી.

            મુખ્યમંત્રીશ્રીએ ફૂટબોલને કીક મારીને આ ટુર્નામેન્ટનો પ્રાંરંભ કરાવ્યો હતો.

            ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલી આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ટીમોએ ભાગ લઇ રહ્યા છે. જેમાં ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિવ-દમણ તથા ગુજરાત સહિતની ટીમના ખેલાડીઓ ટુર્નામેન્ટ રમશે. ટુર્નામેન્ટ આગામી ૧૩મી જાન્યુઆરી, ૨૦૧૮ સુધી ચાલશે અને ટુર્નામેન્ટમાં વિજેતા થનારી ટીમ આંતરરાષ્ટ્રિય કક્ષાએ ભાગ લેશે.

            આ પ્રસંગે રમત ગમત રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય શ્રી જગદીશભાઇ પંચાલ, શ્રી સુરેશભાઇ પટેલ, ગુજરાત ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ શ્રી ધનરાજભાઇ નથવાણી, ટ્રાન્સટેડિયાના  શ્રી ઉદીત શેઠ, સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ઇન્ડિયાના અધિકારીશ્રીઓ તથા રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(8:26 pm IST)