Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ પડવાની આગાહી

વરસાદ ગુજરાતની નવરાત્રી બગાડશે? : રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે દ. ગુજરાતમાં વરસાદની સાથે પવન ફૂંકાવાની સંભાવના

અમદાવાદ,તા.૬ : આજથી નવરાત્રી શરુ થઈ રહી છે ત્યારે રાજ્યાના હવામાનમાં પણ પલ્ટો આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં રાજ્યના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના સુરત, ભરુચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દીવમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના ઉત્તર તથા મધ્ય ભાગમાં વાતાવરણમાં કોઈ પલ્ટાની આગાહી નથી. એટલે કે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના દક્ષિણભાગમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની વકી છે. હળવા વરસાદની આગાહી છે પરંતુ જો વરસાદ રાતના સમયે આવ્યો તો ખૈલાયાઓના રંગમાં ભંગ પડી શકે છે.

        અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, પાટણ સહિતના મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હવામાન સાફ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી પ્રમાણે આજે તથા આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેશે. રવિવાર સુધી વરસાદ રહેવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સાથે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વર્ષે રાજ્યમાં માત્ર શેરી ગરબાનું જ આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ગરબાનું આયોજન કરવા પર રાજ્ય સરકાર દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે. કોરોનાની સ્થિતિ હાલ કાબૂમાં છે અને આગામી દિવસોમાં તહેવારોના લીધે તે ફરી બેકાબૂ ના બને તે માટે નવરાત્રીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ સાથે અલગ-અલગ શહેરો અને જિલ્લાઓ પ્રમાણે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવરાત્રીના આયોજન અંગે કેટલીક જરુરી વાતો કહેવામાં આવી છે.

(9:09 pm IST)