Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

નવરાતરીમાં પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન આ વર્ષે ભાવિકો કરી શકશેઃ ખાનગી વાહનો માટે પ્રવેશ ઉપર પ્રતિબંધ

સવારે 5 વાગ્‍યાથી રાત્રીના 8 વાગ્‍યા સુધી ભાવિકો દર્શનનો લાભ લઇ શકશે

અમદાવાદ: કોરોના કાળ બાદ પ્રથમ વખત ભક્તો નવરાત્રિમાં પાવાગઢની મા મહાકાળીના દર્શન કરી શકશે. કોરોના મહામારી બાદ આ વર્ષ પાવાગઢની મહાકાળીના દર્શન કરી શકાશે. આવતીકાલથી શરૂ થતી નવરાત્રિમાં પાવાગઢ જનારા યાત્રાળુઓ પર કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે કે ખાનગી વાહનો 7થી 20 ઓક્ટોબર સુધી માચી જઇ શકશે નહીં.

આવતીકાલે 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કોરોના કાળ દરમિયાન સતત ત્રણ નવરાત્રિમાં મહાકાળી માતાના પ્રત્યક્ષ દર્શનથી વંચિત ભક્તો આ નવરાત્રિમાં માતાજીના દર્શન કરી શકશે. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન દર્શન માટેનું સમય પત્રક જાહેર કરાયું છે. નવરાત્રિમાં માતાજીનું નિજ મંદિર સવારે 5 વાગે ખૂલશે અને રાત્રે 8 વાગે બંધ થશે. ત્યારે આ વર્ષે લાખો ભક્તો નવરાત્રિમાં દર્શન પર આવે તેવી શક્યતા છે.

ખાનગી વાહનો પર પ્રતિબંધ

નવરાત્રિના 7 થી 20 ઓક્ટોબર સુધી પાવાગઢમાં તળેટીથી માંચી સુધી ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે. મુસાફરોને તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ 6 ઓક્ટોબરથી જ વધારાની બસ દોડાવશે. આજે રાતથી 50 થી 55 એસટી બસ દોડશે. નવરાત્રિને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને બસમાં બેસવા પાંચ ટ્રેક પણ બનાવાયા છે.

પાવાગઢ શક્તિપીઠ હોવાથી અહી નવરાત્રિનું અનેરુ મહત્વ હોય છે. ત્યારે પાવાગઢમાં આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તે માટે 800 ઉપરાંત પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવનાર છે. સાથે જ આ વર્ષે તળેટી અને માંચી ખાતે એલઈડી સ્ક્રીન લગાવીને ઓનલાઈન દર્શન કરાવાશે, જેથી જે ભક્તો ઉપરથી સુધી પહોંચી ન શકે તેઓ તળેટીથી જ દર્શનનો લ્હાવો લઈ શકે. યાત્રાળુઓની સલામતી સુરક્ષાને લઈ મંદિર સહિત પરિસરમાં હાઈ ફ્રિકવન્સી સીસીટીવી મુકાયા છે. મંદિરના 70 સભ્યોના સ્ટાફ સાથે 30 ખાનગી સિક્યુરિટી જવાનો ફરજ બજાવશે.

(5:14 pm IST)