Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

મહેસાણામાં પાટીદાર અગ્રણીએ હાર્દિકના પોસ્ટર પર ગુસ્સો ઉતાર્યો

નેતા હાર્દિક પટેલના પોસ્ટર પર શાહી લગાવાઈઃહાર્દિકના ભાજપ પ્રવેશ પર વિરોધ જોવા મળ્યો છે : ઊંઝાના ઉનાવામાં હાર્દિકના પોસ્ટર પર કાળી સ્યાહી લગાવાઈ છે

મહેસાણા, તા.૫ :હાર્દિક પટેલે તાજેતરમાં જ કેસરિયા કર્યાં છે. જેના બાદ ગુજરાતભરમાં ઠેરઠેર તેમના ભાજપમાં સ્વાગતના બેનર અને પોસ્ટર લગાવવામા આવ્યા છે. ત્યારે હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પર વિરોધ જોવા મળ્યો છે. ઊંઝાના ઉનાવામાં હાર્દિક પટેલના પોસ્ટર પર કાળી સ્યાહી લગાવાઈ છે.

ઊંઝાના ઉનાવામાં પણ હાર્દિક પટેલ ને ભાજપમાં આવકારતા પોસ્ટર લગાવ્યા છે. ત્યારે આ પોસ્ટર ઉપર પાટીદાર યુવા અગ્રણી ધનજી પાટીદારે સ્યાહી લગાવી હતી. ધનજી પાટીદારે રોડ પર લગાવેલા મોટા બેનરમાંથી હાર્દિકની તસવીર પર કાળી સ્યાહી લગાવી હતી. તેણે હાર્દિકના નામ પર પણ કાળો કૂચડો ફેરવ્યો હતો. એટલુ જ નહિ, તેણે સ્યાહી લગાવતો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાથી અનેક પાટીદારો નારાજ છે. હાર્દિક પટેલે ભાજપમાં જોડાતા જ પાટીદાર આંદોલનકારીઓ વિશે કડવા શબ્દો કહ્યા હતા.

 હાર્દિક પટેલે તાજોતરમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોના યુવાનોને અસામાજિક તત્વો કહી દીધા હતા. હાર્દિક પટેલના આ નિવેદન બાદ અનેક પાટીદાર નેતાઓ નારાજ થયા હતા. તો ખોડલધામ પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પણ હાર્દિક પટેલના આ નિવેદનને વખોડ્યું છે.

 નરેશ પટેલે કહ્યુ કે, આંદોલનકારીને અસામાજિક તત્વો કહ્યા તે હાર્દિકની ભૂલ છે. ઉલ્લેખનીય છે કે, ભરૃચના છિદ્રા ગામે ખોડિયાત માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નરેશ પટેલ હાજર રહ્યા હતા, ત્યારે તેમણે આ નિવેદન આપ્યુ હતું.

(8:50 pm IST)