Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ડાભેલી નજીક મોડી રાત્રે બે જીપ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 4ના કમકમાટી ભર્યા મોત

અમદાવાદ: પાલનપુર-અમીરગઢ રોડ પર ડાભેલી ગામ નજીક મોડી રાત્રે મુસાફરોથી ખીચોખીચ ભરેલી બે જીપ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યકિતના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે પાલનપુર-અમીરગઢ રોડ પર ડાભેલી ગામ પાસેથી મોડી રાત્રે પસાર થઇ રહેલી એક જીપ સામેથી આવી રહેલી અન્ય એક જીપ સાથે જોરદાર ધડાકાભેર અથડાતાં આ ગમખ્વાર ઘટના બની હતી. આ અકસ્માતમાં બંને જીપનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

કમાન્ડર જીપમાં બેઠેલી ત્રણ આદિવાસી મહિલા અને એક  યુવાનનું ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે જીપમાં બેઠેલ અન્ય દસ મુસાફરોનો અદ્ભુત બચાવ થયો હતો. જીપમાં બેઠેલા પ્રવાસીઓ આદિવાસી મજૂર હોવાનું જાણવા મળે છે.

બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશોને પીએમ માટે પાલનપુરની હોસ્પિટલ ખાતે ખસેડી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના નામ-સરનામાં હજુ સુધી જાણવાં મળ્યાં નથી. આ ઘટનાને પગલે રોડ પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઇ જતાં અનેક વાહનચાલકો હાલાકીમાં મુકાઇ ગયા હતા.

(6:37 pm IST)