Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અમદાવાદ કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાંથી બાળક ગુમ થતાં તર્કવિતર્ક : પોલીસ તપાસ શરૂ

ૂ સ્વામિનારાયણ મંદિરથી રતનપોળ સુધીએ બાળક ભાગતું દેખાઈ રહ્યું છે એ પછી બાળક ટ્રેસ થઈ રહ્યું નથી

અમદાવાદ : શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિર  પાસેની એક સંસ્થામાંથી ૭ વર્ષનું બાળક ગુમ થતા ચર્ચાએ જોર પકડ્યું છે.. થોડાક દિવસ પહેલા લવાયેલું બાળક ગુમ થવાનું કારણ શું છે. તેમજ બાળક સીસીટીવીમાં ભાગતું જોવા મળી રહ્યું છે.કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સંસ્થામાંથી સાહિલ નામનો બાળક ગાયબ થયાની ફરિયાદ મળતા જ પોલીસ હરકતમાં આવી. પોલીસ તપાસ શરૂ થઈ, પણ સવાલ એક જ હતો કે બાળક ગુમ થવા પાછળનું કારણ શું છે. પ્રશ્ન એટલા માટે કે મંદિરની સંસ્થામાંથી બાળક ગુમ થયું છે, થોડાક દિવસ અગાઉ જ આ બાળક અહીંયા સંસ્થામાં આવ્યું ત્યારે શું કોઈ ઘટના બની જેથી બાળક જતું રહ્યું. સ્વામિનારાયણ મંદિર દ્વારા અપહરણની કલમ અનુસાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસ પણ આ પ્રકારની ફરિયાદ મળતાં એક્શનમાં આવી અને તપાસ શરૂ કરી અને સીસીટીવી ચકાસ્યા.પોલીસે સીસીટીવી ચકાસવાની શરૂઆત કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે બાળક એની જાતે જ ભાગી રહ્યું છે એની સાથે કોઈ નથી. તેમજ સ્વામિનારાયણ મંદિરથી રતનપોળ સુધીએ બાળક ભાગતું દેખાઈ રહ્યું છે એ પછી બાળક ટ્રેસ થઈ રહ્યું નથી.

પોલીસ દ્વારા આ મામલે સંસ્થા અને અન્ય રીતે તપાસ કરતા સાહિલે કેટલીક બાબતો જણાવી જેમાં એના કાકા મણિનગર વિસ્તારમાં જ ક્યાંક રહે છે, એટલે પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.. તેમજ ક્યાં ક્યાં એ જઇ શકે છે એ બાબતની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસ તેમજ મિસિંગ ચાઈલ્ડ માટેની ટીમ કેટલા સમયમાં બાળકને શોધી કાઢે એ જોવાનું રહેશે.

સ્વામિનારાયણ મંદિરના કેશિયર ઈશ્વર પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે.. અત્યાર સુધીની પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી છે એમાં પણ સાત વર્ષનો સાહિલ નામનો બાળક ઘરેથી નીકળ્યો હતો. જેના માતા નુરીબહેન અને પિતા નાસિરભાઈ સરખેજ બસ સ્ટેન્ડ પાસે રહેતા હોવાનું તેણે જણાવ્યું પરંતુ બંને વચ્ચે ઝઘડો થતા સાહિલ ઘરેથી ભાગી ગયો હતો. બાદમાં તે વાસણા પોલીસને મળી આવતા સાહિલને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ 25 મે ના રોજ આ સંસ્થામાં મોકલી આપ્યો હતો. પોલીસે અપહરણની શંકાને નકારી કાઢી છે અને હવે સાહિલના નામના આ બાળકની તપાસ શરૂ કરી છે.

(8:40 pm IST)