Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ધો. 9 અને 11માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને વધુ એક તક : નાપાસ થયેલ વિદ્યાર્થીઓની રી-ટેસ્‍ટ લેવા શાળા કક્ષાને આદેશ અપાયા

ગુજરાત શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક નિર્ણય : કોરોના કાળને કારણે અભ્‍યાસમાં અસર પડી હોવાથી વિદ્યાર્થીઓને વધુ એક મોકો અપાયો

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓનાં હિતમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્‍યો છે. જેમાં ધો. 9 અને 11 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓનુ ભાવિ ન બગડે તે હેતુથી તેમને વધુ એક તક આપવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓ ખુલતા જ નાપાસ થયેલ વિદ્યાર્થીઓની રી-ટેસ્‍ટ લેવા આદેશ અપાયો છે. ગુજરાત રાજ્‍ય શાળા સંચાલક મહામંડળ દ્વારા આ અંગે રજૂઆત કરાઈ હતી. જેને ગ્રાહ્‍ય રાખી શિષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લેવા છે.

ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11 માં નાપાસ વિદ્યાર્થીઓની રી-ટેસ્ટ લેવા અંગે નિર્ણય લેવાયો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા કરાયેલી રજૂઆત બાદ શિક્ષણ વિભાગે બાળકોના હિતમાં નિર્ણય લીધો છે.

શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયુ કે, સમગ્ર કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીના તાબા હેઠળ કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2021 - 22 દરમિયાન ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એક તક અપાશે. 13 જૂનથી શાળાઓ શરૂ થાય ત્યારે નાપાસ વિદ્યાર્થીઓની શાળા કક્ષાએ પરીક્ષા લેવા આદેશ કરાયો છે. રી - ટેસ્ટ માટે પરીક્ષાનું સંપૂર્ણ આયોજન શાળા કક્ષાએથી કરવાનું રહેશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વિધાર્થીઓના અભ્યાસનું 1 વર્ષ બચશે. તેઓ રી-ટેસ્ટમાં પાસ થવાથી તણાવ વિના આગળના વર્ષમાં અભ્યાસ કરી શકશે. કોરોના કાળ તમામ માટે કપરો રહ્યો હતો, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે. કારણ કે, વર્ગખંડમાં ભણતા વિદ્યાર્થીઓ મોબાઈલની સ્ક્રીન પર ભણવા મજબૂર બન્યા હતા. આવામાં અનેક વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમિયાન શૈક્ષણિક વર્ષ 2021 - 22 માં ધોરણ 9માં અંદાજે 45 ટકા, જ્યારે કે ધોરણ-11 માં 40 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનો દાવો કરાયો હતો. ધોરણ 8 માં માસ પ્રમોશન મેળવી ધોરણ 9 માં આવેલા વિદ્યાર્થીઓનું નબળું પરિણામ આવ્યુ હતુ. જેથી મહામંડળ દ્વારા વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે એ માટે રી-ટેસ્ટ લેવા રજૂઆત કરાઈ હતી.

આવુ પહેલીવાર નથી બન્યુ કે રિ-ટેસ્ટ લેવામાં આવ્યો હોય. ભૂતકાળમાં પણ નવનિર્માણ આંદોલન અને ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ પણ નાપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને રી-ટેસ્ટ લેવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે ફરી એકવાર કોરોનાકાળને કારણે ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના ભાવિ ન બગડે તે હેતુથી રી - ટેસ્ટ લેવાનો શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે.

(5:20 pm IST)