Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં લક્ષ્યાંક કરતાં વધુ ના લાભાર્થીઓ ઉમેરાયા: વર્ષ ૨૦૨૨ની સરખામણીએ ૨૦૨૨-૨૩ માટે ૫૦ ટકા વધુ લક્ષ્ય નિયત કરાયું

ગુજરાત સરકારે PMMVY હેઠળ ૩ લાખ ૧૮ હજાર ૩૫૯ લાભાર્થીઓ સુધી પહોંચવાનું કામ કર્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ સતત આ યોજનાનું મોનીટરીંગ

રાજકોટ તા.૪

 ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ડેટા પ્રમાણે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના  (PMMVY) હેઠળ ૨૦૨૧-૨૨ માટે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધુ લાભાર્થીઓને ઉમેરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે, આ યોજના હેઠળ ત્રણ લાખ લાભાર્થીઓનો લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેને અનુલક્ષીને ગુજરાત સરકારે PMMVY હેઠળ ૩ લાખ ૧૮ હજાર ૩૫૯ લાભાર્થીઓ સુધી પહોંચવાનું કામ કર્યું છે. એમ આરોગ્ય વિભાગ દ્રારા જણાવાયુ છે. 

  રાજ્ય સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે આ લક્ષ્યાંકમાં ૫૦ ટકાનો વધારો કરીને ૬ લાખ લાભાર્થીઓને આગામી સમયમાં ઉમેરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આરોગ્ય વિભાગે તેના લક્ષ્યાંકને પહોંચી વળવા  માટે સઘન આયોજન કરીને સંનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા છે. આ લક્ષ્‍યાંકને પૂર્ણ કરવા માટે સાપ્તાહિક કક્ષાએ જિલ્લા અને કોર્પોરેશનોને નિયત ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે અને સાપ્તાહિક કક્ષાએ કામગીરીની પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. આ નાણાકીય વર્ષ માટે ૨૦ મે, ૨૦૨૨ સુધી આરોગ્ય વિભાગે ૬ લાખના લક્ષ્યાંક સામે ૫૮ હજાર ૭૪૩ લાભાર્થીઓને ઉમેર્યા છે.

શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના?

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭માં દેશભરની મહિલાઓને તેમના બાળકના જન્મ સમયે આર્થિક મદદ પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દરેક લાભાર્થી માતાને રૂ.પાંચ હજારની સહાય રકમ આપવામાં આવે છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ દેશભરમાં ૧.૨૮ કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા છે અને અત્યાર સુધીમાં DBT દ્વારા સીધા બેંક ખાતામાં રૂપિયા ૫૨૮૦ કરોડ જમા કરાવી દેવાયા છે. આ યોજનાનો લાભ સમગ્ર દેશમાં APL અને BPL બંને કાર્ડ ધારક મહિલાઓ મેળવી શકે છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના  (PMMVY)  નો મુખ્ય ઉદ્દેશ

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રોકડ પ્રોત્સાહનો દ્વારા સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો અને અલ્પ પોષણની અસરમાં ઘટાડો કરવાનો છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના  (PMMVY) ની કામગીરી

પહેલો હપ્તોઃ ગર્ભાવસ્થાના રજીસ્ટ્રેશન સમયે રૂ.૧૦૦૦

બીજો હપ્તો: જો લાભાર્થી ગર્ભાવસ્થાના છ મહિના પછી અને ઓછામાં ઓછું એક પ્રસૂતિ પહેલાની તપાસ કરાવે તો રૂ. ૨૦૦૦ની સહાય આપવામાં આવે છે.

ત્રીજો હપ્તો: જ્યારે બાળકના જન્મની નોંધણી કરવામાં આવે અને બાળક BCG, OPV, DPT અને હેપેટાઇટિસ-B સહિત પ્રથમ રસી ચક્ર શરૂ કરે ત્યારે રૂ.૨૦૦૦ આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવાકેવી રીતે કરવીઅરજી?

સામાન્યરીતે આશા વર્કરો અરજીઓ ભરવાનું કામ કરે છે. લાભાર્થીના જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, આશા કાર્યકર https://pmmvy-cas.nic.inવેબસાઇટ દ્વારા આગળની પ્રક્રિયાકરવામાં આવે છે.

નોંધનીય છે કે વર્ષ ૨૦૨૧-૨૨માં ગુજરાત સરકાર દ્વારા આ યોજનાના ૧ લાખ ૧૫ હજાર ૪૬૫ લાભાર્થીઓને રૂપિયા ૨૫.૩૦કરોડનું વિતરણ કરવામાં આવ્યુ છે. સાથે જ તે વર્ષ ૨૦૨૨-૨૩ માટે, ગુજરાત સરકારે તા.૨૦ મે ૨૦૨૨ સુધી ૫૮ હજાર ૭૪૩ લાભાર્થીઓને રૂ. ૧૦.૦૩ કરોડનું વિતરણ કર્યું છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કુટુંબ કલ્યાણના અધિક નિયામક ડૉ. નયન પી. જાની  કે માહિતી આપતા જણાવ્યુ કે,“અમે ગયા વર્ષના અમારા લક્ષ્યાંક કરતાં વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના  (PMMVY) હેઠળ જોડ્યા છે. અમે આ વર્ષે પણ અમારા લક્ષ્યાંક કરતાં વધુ લાભાર્થીઓને ઉમેરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે પડકારો અને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તેના પર પણ અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સતત આ યોજનાનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે 

(12:32 pm IST)