Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

છેતરાયેલા ગ્રાહકે હવેથી ૫ લાખ રુપિયા સુધીના દાવા માટે નહીં ચૂકવવી પડે ફીઃ વિનામૂલ્‍યે નોંધાવી શકશે ફરિયાદ

ગ્રાહકોના હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ લાગુ કરવામાં આવ્‍યું છે, જે હેઠળ ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારાઓને કડક સજા આપવામાં આવે છેઃ ગ્રાહક છેતરપિંડીની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે છે

અમદાવાદ, તા.૪: ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ હેઠળ ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે રાજ્‍ય સરકાર કટિબદ્ધ છે. ગ્રાહકો સાથે છેતરામણી ન થાય તેનું ખાસ ધ્‍યાન રાખવામાં આવે છે. જો ગ્રાહક સાથે છેતરપિંડી થાય તો તેઓ તરત જ કન્‍ઝ્‍યૂમર કોર્ટના દરવાજા ખખડાવી શકે છે, વહેલા-મોડા પરંતુ તેમને ન્‍યાય જરૂરથી મળે છે.

ગ્રાહક જે જિલ્લામાં રહેતો હોય અથવા નોકરી કરતો હોય ત્‍યાં પોતાની ગ્રાહક સુરક્ષાને લગતી ફરિયાદ નજીકના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં નોંધાવી શકે છે. જો કે, હવેથી પાંચ લાખ સુધીના દાવાની ફરિયાદ વિનામૂલ્‍યે નોંધાવી શકાશે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની રચના પણ કરવામાં આવી છે. જ્‍યારે ૫ લાખ રૂપિયાથી વધુની દાવાની રકમની ફરિયાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ નોંધાવી પડશે, જ્‍યાં ૧ કરોડ રૂપિયા સુધીનો દાવો કરી શકાશે.

ગ્રાહકે જો ૧ કરોડથી ૧૦ કરોડ સુધીનો દાવો કરવાનો હોય તો તે રાજ્‍ય ગ્રાહક તકરાર નિવારણ સમક્ષ ફરિયાદ નોંધાવવાની રહેશે. આ સિવાય જો રકમ ૧૦ કરોડથી વધુ હોય તો રાષ્‍ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ગ્રાહક ફરિયાદ કરી શકશે. જો સંબંધિત ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા ગ્રાહક ફરિયાદ પર આપવામાં આવેલા નિર્ણયનો પ્રતિવાદી દ્વારા વિરોધ કરવામાં આવે તો કડક સજાની પણ જોગવાઈ છે. જેમાં ૧ મહિનાથી ૩ વર્ષ સુધીની જેલની સજા, ૨૫ હજારથી૧ લાખ સુધીના દંડનો સમાવેશ થાય છે.

કેન્‍દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળનો ઉદ્દેશ ગ્રાહકોના અધિકારાનો ઉલ્લંઘન સંબંધિત બાબતો, ગેરવ્‍યાજબી વેપારરીત તેમજ ગ્રાહકોના હિત માટે હાનિકારક હોય તેવી ખોટી અથવા ગેરમાર્ગે દોરતી જાહેરાતોનું નિયમન કરવાનો છે. કેન્‍દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્‍થાપના દિલ્‍હી ખાતે કરવામાં આવી છે.

https://edaakhil.nic.in વેબપોર્ટલ પર ગ્રાહક ઓનલાઈન ફરિયાદ સંબંધિત ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં નોંધાવી શકે છે તથા આ ફરિયાદ માટે ભરવાપાત્ર થતી કોર્ટ ફી પણ ઓનલાઈન આ વેબપોર્ટલ પર ભરી શકે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ દ્વારા કેન્‍દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડની સ્‍થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી છે

(10:24 am IST)