Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ગાંધીનગરના અડાલજ નજીક નર્મદા કેનાલની બાજુમાંથી અવાવરું જગ્યાથી બે મૃતદેહ મળ્યા

મૃતદેહ સળગેલી હાલતમાં તેમજ જાનવરોએ મૃતદેહને પિંખી નાખ્યા હતા: પોલીસે ફોરેન્સિક પીએમ કરાવતા અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી

ગાંધીનગરના અડાલજ  વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલની બાજુના અવાવરું જગ્યા પરથી 2જી જૂનના રોજ બે મૃતદેહ મળવાની વાત ધ્યાને આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અવાવરું જગ્યા પરથી મળેલા મૃતદેહ સળગેલી હાલતમાં હતા તેમજ જાનવરોએ મૃતદેહને પિંખી નાખ્યા હતા. પોલીસને શંકા જતા ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું. જેના આધારે સમગ્ર હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પીએમ રિપોર્ટ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે જે મૃતદેહ મળ્યા છે જેમાં એક પુરુષ અને એક સ્ત્રીનો મૃતદેહ છે અને બંને ની ઉમર 25 થી 40 વર્ષ ની વચ્ચેની છે. બંનેની હત્યા કરવામાં આવી છે અને બાદમાં તેને અવાવરું જગ્યા પર લાવી જે સળગાવી દેવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર મળેલા પુરાવાઓ પરથી વધુ તપાસ હાથ ધરી છે. જોકે હત્યા બાદ મૃતદેહ સળગાવવામાં આવ્યો હતો અને ઉપરથી જાનવરો દ્વારા તેને પીંખી નાખવામાં આવ્યો હતો જેથી બંને મૃતદેહની ઓળખ કરવી પોલીસ માટે પણ મુશ્કેલ બની ચૂકી છે.

જે રીતે પોલીસને મૃતદેહ પરથી અલગ અલગ વસ્તુઓ મળી આવી છે તેના પરથી પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત પોલીસે મૃતદેહ પરથી મળેલી વીતી ની તસ્વીર જાહેર કરીને લોકોને પણ અપીલ કરી છે કે જો ફોટો પરથી કોઈ વાલી વારસ હોય તો તેને પણ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.અવાવરું જગ્યા પરથી બે મૃતદેહ મળ્યા ચકચાર મચી જવા પામી છે. પોલીસે મૃતદેહ અને હત્યાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી છે તો સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ સીસીટીવીના આધારે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું એ રહ્યું કે બંને ખરેખર બંને મૃતદેહ કોના છે, શા માટે હત્યા કરવામાં આવી છે, કોણ છે હત્યારો જેવા મુદ્દાઓને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.

 

(10:54 pm IST)