Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સુરતના કતારગામમાં ગજેરા સર્કલ નજીક કારખાનાને નિશાન બનાવી તસ્કરોએ 1.36 લાખથી વધુની મતાની ઉઠાંતરી કરી

સુરત: શહેરનાકતારગામ ગજેરા સર્કલ નજીક રામજી કૃપા રો હાઉસમાં રહેતા અમીત ભરત કાથરોટીયા (ઉ.વ. 29 મૂળ રહે. ચલાળાગામ, તા. ધારી, જિ. અમરેલી) વરાછા ભવાની સર્કલ સ્થિત શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભાગીદારીમાં એમ્બ્રોડરી કારખાનું ચલાવે છે. ગત તા. 19 સપ્ટેમ્બરના રોજ અમીત તેના વતન ગયો હતો અને ત્યાર બાદથી કારખાનું બંધ હતું. ગત તા. 17 ઓક્ટોબરના રોજ વતનથી પરત આવ્યા બાદ ભાગીદાર વિનુ માંડકણા સાથે કારખાને ગયો હતો. કારખાનાનો મેઇન દરવાજાનું તાળું ખોલ્યું હતું પરંતુ દરવાજો અંદરથી બંધ હોવાથી શંકા ગઇ હતી અને તુરંત જ બાજુના કારખાનાની ગેલેરીમાંથી પોતાના કારખાનાના પાછળના દરવાજાથી અંદર જતા કારખાનાનો સરસામામ વેરવિખેર પડેલો હતો. ઉપરાંત કારખાનામાંથી બે સીપીયુ, સ્કેનર, અલગ-અલગ કંપનીની પેન ડ્રાઇવ, ટીવી, હાર્ડ ડિસ્ક, 30 નંગ સાડી અને સીસીટીવી ફુટેજનું ડીવીઆર મળી કુલ રૂા. 1.36 લાખનો મુદ્દામાલ ગાયબ હતો. જેથી આજુબાજુના કારખાનાના કારીગરોની પુછપરછ કરતા પાછળના ભાગે દોરડા હતા અને દોરડા લટકતા હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચોરી થયેલા સીપીયુમાં ક્વીક હીલ એન્ટી વાયરસ નામનું સોફ્ટવેર હતું. કારખાનેદારે નવા સીપીયુમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એરર આવતા સોફ્ટવેર કંપનીનો સંર્પક કર્યો હતો. કંપનીએ ચોરી થયેલા સીપીયુનો અન્ય ઠેકાણે ઉપયોગ થઇ રહ્યો હોવાનું જણાવતા પોલીસે તેના આધારે ચોરનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

(4:59 pm IST)