Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ફાયર N.O.C. માટે શાળા-કોલેજ સંચાલકોમાં મચી દોડધામ

રાજય સરકારે અગ્નિશમન સાધનોનાં નિયમોની કડક અમલવારી કરવા કડક સુચના આપતા, ફાયર બ્રિગેડમાં અરજી માટે લાઇનો લગાવી, પરંતુ તંત્રએ પહેલા વ્યવસ્થા થાય પછી જ અરજી સ્વીકારવાનું વલણ અપનાવ્યુ

રાજકોટ તા. ર :.. રાજય સરકારે શાળા-કોલેજનાં બિલ્ડીંગમાં અગ્નિશમન સાધનોની સંપૂર્ણ નિયમ મુજબની વ્યવસ્થા રાખી અને સ્થાનીક ફાયર બ્રિગેડનું નો-ઓબ્જેકશન સર્ટી ફરજીયાત મેળવવાનાં નિયમની કડક અમલવારી શરૂ કરાવતાં આ બાબતે શહેરનાં શાળા-કોલેજ સંચાલકોમાં દોડધામ મચી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ રાજય સરકારે આર. ટી. ઇ. હેઠળ શૈક્ષણીક વ્યવસ્થા સહિતની બાબતોએ શાળા - કોલેજનાં બિલ્ડીંગમાં અગ્નિશમન સાધનો જેવા કે પાણીનો ટાંકો, ફાયર નોઝલ, પાઇપ લાઇન, ફાયર એકસટીમ્બ્યુઝર જેવા સાધનો લગાવી અને સ્થાનિક ફાયર બ્રિગેડ તંત્રનું એન. ઓ. સી. રજૂ કરવાનાં નિયમની કડક અમલવારી કરાવતો આદેશ બહાર પાડયો છે.

આ આદેશનાં અનુસંધાને શાળા - કોલેજોનાં સંચાલકો ફાયર બ્રીગેડમાં એન. ઓ. સી. માટે અરજી કરવા સતત ઇન્કવાયરી કરી રહ્યા છે.

પરંતુ અધિકારીઓએ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે સૌ પ્રથમ શાળા - કોલેજના બિલ્ડીંગમાં અગ્નિશમન સાધનોની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે ત્યાર પછી જ એન. ઓ. સી. માટે અરજી સ્વીકારાશે. અને અરજી મળ્યા બાદ રૂબરૂ સ્થળ પર જઇને તપાસ કર્યા બાદ જ એન. ઓ. સી. આપવામાં આવશે.

(3:44 pm IST)