Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ગાંધીનગરમાં ચ-0થી શાહપુર સર્કલ નજીક પરિવારને કારે હડફેટે લેતા ગંભીર ઇજાથી માતા-પુત્રીનું મોત

ગાંધીનગર:શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે શનિવારે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં માતાપુત્રીના મોતની ઘટના બનવા પામી છે આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદ શાહીબાગના ૭૭ ગણપત સોસાયટીમાં રહેતો યુવાન રાહુલ મહેશભાઈ ત્રિવેદી તેમજ તેની માતા યોગીનીબેન અને બહેન જૈમીની શનિવારે તેમના મોપેડ નં.જીજે-૦૧-વીઈ-૫૬૫૫ લઈને સે-પમાં રહેતા તેમના ફુવાના ઘરે આવ્યા હતા. જયાંથી સે-૬માં ફુવાના દીકરાના ઘરે ગયા હતા અને રાત્રે નવ વાગ્યે મોપેડ લઈ તેઓ શાહીબાગ જવા નીકળ્યા હતા. રાહુલ મોપેડ ચલાવી રહયો હતો અને યોગીનીબેન તેમજ જૈમીની પાછળ બેઠા હતા. ચ-૦થી શાહપુર સર્કલ વચ્ચે તેમનુ મોપેડ પસાર થઈ રહયું હતું તે દરમ્યાન પુરઝડપે જઈ રહેલી એક કારે તેમના મોપેડને ટક્કર મારી હતી. જેના કારણે યોગીનીબેન અને જૈમીની મોપેડ ઉપરથી નીચે પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓના કારણે તેમના સ્થળ ઉપર જ મોત નીપજયા હતા. જયારે અકસ્માતના પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને અકસ્માત કરનાર જીજે-૧૮-બીએલ-૮૮૪૦ નંબરની કારના ચાલક સામે હાલ તો સે-૭ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તેને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. યુવાનની નજર સામે જ માતા અને બહેનનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જે ઘટના અંગે ભારે અરેરાટી પણ વ્યાપી હતી.

(5:12 pm IST)