Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

અરવલ્લીમાં થયેલા ભેદી બ્લાસ્ટ મામલે મોટો ધડાકો બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડથી થયાનો પોલીસ તપાસમાં ખુલાસો

આ હેન્ડ ગ્રેનેડ મૃતક યુવકને તળાવમાંથી મળ્યો હોવાનો ફોરેન્સિક તપાસમાં મહત્વપૂર્ણ બાબત સામે આવી

અરવલ્લી,તા.૧ : અરવલ્લી જિલ્લાના ગોઢફુલ્લા ગામ ખાતે ચાર દિવસ પહેલા થયેલા ભેદી ધડાકામાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડથી થયો હતો. આ બ્લાસ્ટમાં એક યુવાન અને બાળકીનું મોત થયું હતું. ફોરેન્સિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ હેન્ડ ગ્રેનેડ મૃતક યુવકને તળાવમાંથી મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારના લોકો પણ બનાવ સ્થળ ખાતે દોડી આવ્યા હતા. જે બાદમાં પોલીસ અને ફૉરેન્સિક ટીમે તપાસ શરૂ કરી હતી. યુવકનું પોસ્ટ મોર્ટમ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં તેના શરીરમાંથી હેન્ડ ગ્રેનેડના છરા મળી આવ્યા હતા. અરવલ્લી સરહદ પર આવેલો જિલ્લો છે. રાજસ્થાન ગુજરાતને જોડતા આ જિલ્લાના ટ્રાઇબલ વિસ્તાર હેન્ડ ગ્રેનેડ કેવી રીતે પહોંચ્યો તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ભેદી ધડાકા બાદ બેનાં મોતઃ અરવલ્લી જિલ્લાના શામળાજીના ગોઢફુલ્લા ગામ ખાતે ૨૯ ઓગસ્ટના રોજ ભેદી ધડાકો થયો હતો. આ ધડાકામાં એક યુવક અને બાળકનું મોત થયું હતું. તપાસ બાદ આ ધડાકો હેન્ડ ગ્રેનેડથી થયો હોવાનો ખુલાસો થવા પામ્યો છે. એવી પણ વિગતો સામે આવી છે કે મૃતક યુવકને હેન્ડ ગ્રેનેડ છ મહિના પહેલા એક તળાવમાંથી મળી આવ્યો હતો. જેને તેણે પોતાના ઘરમાં રાખી મૂક્યો હતો. એવી પણ વિગતો મળી છે કે યુવકે હેન્ડ ગ્રેનેડને પોતાની કમર સાથે બાંધીને ફોટોગ્રાફી પણ કરી હતી. આ અંગેની તસવીરો પણ સામે આવી છે. જે બાદમાં યુવકે નાના બાળકો વચ્ચે છેલ્લા છ મહિનાથી આ હેન્ડ ગ્રેનેડને પોતાના ઘરમાં રાખી મૂક્યો હતો. છ મહિના પહેલા મૃતક યુવક અને અન્ય યુવકને મળી આવેલો લીલા રંગનો હેન્ડ ગ્રેનેડ મૃતકે પોતાના ઘરમાં રાખી મૂક્યો હતો. ૨૮ ઓગસ્ટના રોજ યુવકે સાણસી વડે હેન્ડ ગ્રેનેડની પીન કાઢી હતી. જે બાદમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં યુવક અને બાળકનું મોત થયું છે. યુવકને તળાવમાંથી મળી આવેલો હેન્ડ ગ્રેનેડ તળાવ સુધી કેવી રીતે પહોંચ્યો તે પણ મોટો પ્રશ્ન છે. અરવલ્લી સરહદી જિલ્લો હોવાથી તેમજ ટ્રાઇબલ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હોવાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે પોલીસે મૃતક યુવક અને અન્ય એક સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. શામળાજી પાસેના ગોઢકુલ્લા ગામમાં શનિવારે ભેદી ધડાકો થયો હતો. જેમાં ઘરના મોભીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે પત્ની અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય ઈજાગ્રસ્તોને શામળાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેમની સ્થિતિ વધારે ગંભીર જણાતા અમદાવાદ રીફર કરાયા હતા. સારવાર દરમિયાન એક બાળકીનું મોત થયું હતું.

(12:18 pm IST)