Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

આદીવાસી નેતા કોટવાલ ભાજપમાં જોડાતા ખેડબ્રહ્મામાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન:ટોચના નેતાઓ ઘેરહાજર રહ્યા !!

રઘુ શર્મા થી લઈ અમિત ચાવડા સહિતના નેતા ગેરહાજર રહ્યા: ભરતસિંહ સોલકીએ પણ હાજર રહેવાનું ટાળ્યું

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહમા ખાતે કોંગ્રેસ દ્વારા જન સંમેલન યોજીને અશ્વિન કોટવાલ સામે શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજા દિવસે કેવલ જોષીયારા સામે ભિલોડામાં પણ આજ પ્રકારે અરવલ્લી જિલ્લાનુ વિશાળ સંમેલન યોજવામાં આવનાર છે. પરંતુ રઘુ શર્મા થી લઈ અમિત ચાવડા સહિતના નેતા ગેરહાજર રહ્યા હતા. ભરતસિંહ સોલંકી  પણ હાજર રહેનાર હતા, પરંતુ તેમના વિડીયો પ્રકરણને લઈ તેઓ પણ જાહેરમાં દેખાવાનુ ટાળ્યુ હોવાનુ માનવામાં આવી રહ્યુ હતુ.

જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, અશ્વિન કોટવાલને સવાલ પૂછવા માટે તેઓ આવ્યા છે. કોંગ્રેસને ખેડબ્રહ્મા બેઠક માટેનો ચહેરો જ ભાજપની છાવણીમાં જતો રહેતા હવે ફરી એકવાર કોંગ્રેસે હવે આયાતી ઉમેદવાર તરફ નજર દોડાવી છે. એટલે કે તુષાર ચૌધરી ની કાર્યક્રમમાં હાજરી સૂચક બની હતી. જે હવે અશ્વિન કોટવાલ સામેનો ચહેરો બનશે તેમ તર્ક લગાવાઈ રહ્યા છે.

દિગ્ગજ આદીવાસી નેતા અશ્વિન કોટવાલ હવે ભાજપમા જોડાઈ ચૂક્યા છે. અશ્વિન કોટવાલ કોંગ્રેસ માટે ઉત્તર ગુજરાતમાં મહત્વનો અંતિમ મોટો ચહેરો હતો. જેણે પણ હવે કોંગ્રેસના આંતરીક જૂથવાદથી તંગ આવીને રામ રામ કરી દીધા હતા. જેને લઈને હવે કોંગ્રેસે પણ હવે ભાજપમાં જોડાયેલા સામે મોરચો ખોલવાનો પ્રયાસ કર્યો છે. કોટવાલે આદીવાસી સમાજના વિકાસના માટે થઈ તેઓ ભાજપ પસંદ કરી હોવાનુ જેતે સમયે ભાજપનો ખેસ પહેરતા જણાવ્યું હતું. જેના જવાબમાં હવે કોંગ્રસે પણ આદીવાસી લોકોને એકઠા કરીને કોંગ્રેસનુ શક્તિ પ્રદર્શન ખેડબ્રહમામા યોજ્યું હતું, પરંતુ ભરતસિંહ સોલંકીના વિડીયો ને પગલે કોંગ્રસના ટોચના નેતાઓએ ખેડબ્રહમા આવવું ટાળ્યું હતું. તો બીજી તરફ જગદીશ ઠાકોરે પણ આ બાબતના સવાલના જવાબ આપવાથી સિફતાઈથી ટાળી લીધું હતું.

જગદીશ ઠાકોરે પોતાની ભાષણમાં તેજાબી છટાં દાખવવા પ્રયાસ કર્યો હતો અને ભાજપને પડકાર ફેંક્યો હતો કે, અશ્વિન કોટવાલને ખેડબ્રહ્મામાં કોંગ્રેસ સામે ઉતારવામાં આવે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું હતું તે પોતે કોંગ્રસ શા માટે છોડવી પડી એ સવાલ પૂછવા આવ્યા છે. જોકે હવે ભાજપ પણ તેમને ટિકિટ આપે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. લોકસભાના પૂર્વ સાંસદ મધૂસુદન મિસ્ત્રીએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કોંગ્રેસ છોડી જનારાઓને માટે રોષ દર્શાવ્યો હતો. જિગ્નેશ મેવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડબ્રહ્મા વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસે યોજેલા કાર્યક્રમમાં તુષાર ચૌધરીની હાજરીને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. વિસ્તારમાં લાંબા સમય બાદ તુષાર ચૌધરીની હાજરી જોવા મળી હતી. જેને લઈને કોંગ્રેસ હવે તુષાર ચૌધરીને ખેડબ્રહ્મા બેઠકનો ચહેરો અશ્વિન કોટવાલ સામે બનાવી શકે છે, તેવી ચર્ચા બુધવારે યોજાયેલા જન સંમેલન કાર્યક્રમ પરથી જાગી ઉઠી છે. કારણ કે કોટવાલ હાલમાં મજબૂત ચહેરો હોઈ ભાજપ તેની પર દાવ ખેલે તો તેના વળતા જવાબ માટે તૈયારીઓ કરી છે. જોકે હવે તુષાર ચૌધરી ભિલોડાના કાર્યક્રમમાં હાજર રહે છે કે, કેમ તેની પર સૌની નજર બની રહેશે.

પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી 1995, 1998 અને 2002માં ખેડબ્રહ્મા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. આમ હવે તેમના પુત્ર પિતાના વારસા રુપે આ બેઠક પર ઉતરવાનુ પસંદ કરી શકે છે. જોકે વર્ષ 2004માં અમરસિંહની પુત્રી વૈશાલી ઉમેદવાર બની હતી અને તેનો ભાજપના મહિલા ઉમેદવાર સામે પરાજય થયો હતો. આમ કોંગ્રેસના ગઢમાં અમરસિંહના અવસાન બાદ તુરત જ ચુંટણી હોવા છતાં પુત્રીની હાર થઈ હતી

(9:53 pm IST)