Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

અંબાજી મંદિર પર થયો સોનાનો વરસાદઃ અંબે માંને માઇભક્‍તે મનોકામના પૂર્ણ થતા સોનાનો મુગટ અર્પણ કર્યો

લુણાવાડાના માઇભક્‍તે યાત્રાધામ અંબાજીમાં અંબે માતાજીને સોનાનો મુગટ ભેટ આપતા ચર્ચાનો વિષય બન્‍યોઃ ભક્‍તોએ પોતાનું નામ જાહેર ન કર્યુ

બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજીમાં માતાના મંદિરના શિખરને લાંબા સમયથી સોનાથી  મઢવાનું કામ ચાલી રહ્યુ છે. જે વચ્‍ચે એક માઇભક્‍ત ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યુ છે. લુણાવાડાના એક માઇભક્‍તે અંબે માતાને સોનાનું મુગટ અર્પણ કર્યુ છે. માતાના દર્શને આવેલ એક પરિવારે મંદિરમાં પુજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ થતા માતાને સોનાનો મુગટ ભેટ કર્યો હતો. પરંતુ આ પરિવારે પોતાનો પરિચય આપવાથી ઇન્‍કાર કરી ગુપ્‍તદાન કર્યુ હતું.

યાત્રાધામ અંબાજીમાં સોનાના દાનની સરવાણી અવિરત ચાલતી રહે છે. મા અંબાના દર્શને દુનિયાભરમાંથી ભક્તો આવતા છે અને પોતાની મનોકામના પૂરી થતાં હરખભેર માતાજીના મંદિરમાં ખુલ્લા દિલથી દાન આપતા હોય છે. મા અંબાના મંદિરનું શિખર ગુજરાત જ નહીં સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેંદ્ર માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણાં માઈભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી ચૂક્યા છે. ત્યારે હાલ લુણાવાડાનો એક માઈભક્ત ચર્ચાનો વિષય બન્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, લુણાવાડાના માઈભક્તે યાત્રાધામ અંબાજીમાં મા અંબાને સોનાનો મુગટની ભેટ આપી છે. જ્યેષ્ઠ માસના પ્રથમ દિને સુદ એકમે મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ચેનપુર ગામનો એક પરિવાર મંગળવારે માં અંબાના દર્શનાર્થે આવ્યો હતો. જ્યાં પરિવારે મંદિરમાં પુજા અર્ચના કર્યા બાદ સોનાનો મુગટ ભેટ ધર્યો હતો. જોકે માઈ ભક્તે પોતાનું નામ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે, યાત્રાધામ અંબાજીમાં અનેક એવા માઈ ભક્તો સોનાનું દાન કરતા હોય છે પરંતુ પોતાનું નામ જાહેર કરતા નથી, તેઓ ગુપ્તદાન કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદના એક માઈભક્તે પોતાની મનોકામના પૂર્ણ થતા માતાજીને હીરાજડિત સોનાનો મુગટ ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાત રાજસ્થાનના એક માઇભક્ત દ્વારા પણ 100 ગ્રામના સોનાનું દાન કરવામાં આવ્યું હતું.

સુવર્ણમય યોજના તળે દેશ-વિદેશના માઇભક્તો દ્વારા સોનાના દાનનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. જેના કારણે આગામી સમયમાં ભારતભરમાં સર્વ પ્રથમ સુવર્ણમય મંદિર બનશે. લાખો માઇભક્તોની આસ્થાનું આ પાવન યાત્રાધામ સુવર્ણથી ઝગમગી ઉઠશે.

(5:49 pm IST)