Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

મધરાત્રે આંકલાવના આસોદરામાં બે મકાનોને નિશાન બનાવી તસ્કરોએ 37 હજારની મતાનો હાથફેરો કર્યો

આંકલાવ: તાલુકાના આસોદર ગામે ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા કેટલાક તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવીને એક મકાનમાંથી ૩૭ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ અને ફીંગર પ્રીન્ટ નિષ્ણાતની મદદથી તપાસ હાથ ઘરી છે.

 


પ્રાપ્ત વિગતો અનુસાર આસોદર ગામે આવેલી બોદાલ રોડ પરની ઈન્દ્ર ટાઉનશીપમાં રહેતા જનકભાઈ પ્રવિણભાઈ પારેખ આસોદર ચોકડીએ નાસ્તાની હોટલ ધરાવે છે. ગઈકાલે સવારના સુમારે તેઓ પત્ની સાથે ઘરને તાળુ મારીને સાસરી કોસંબો ગયા હતા.

દરમ્યાન રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને તાળુ તોડીને અંદર પ્રવેશ કરી તિજોરીનું પણ તાળુ તોડી નાંખ્યું હતુ અને અંદરથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા ૩ હજાર મળીને કુલ ૩૭ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ નજીકમાં રહેતા ઈશ્વરભાઈ ફતેસિંહભાઈ પરમારના મકાનને પણ નિશાન બનાવીને ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું છે. સવારે પડોશી દ્વારા જનકભાઈને તેમના ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી જેથી તેઓ તુરંત જ આસોદર ગામે આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(4:17 pm IST)