Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અભિનેતા સંજીવ કુમાર જે પરિવારથી સંબંધ રાખતા હતા એ પરિવારના પુરૂષો 50 વર્ષથી વધુ જીવી શકતા ન હોવાના કારણે હંમેશા પરેશાન રહેતા અને તેઓનું પણ નાની ઉંમરે નિધન થયુ હતુ

મુંબઇ: બોલિવુડના દિગ્ગજ અભિનેતા સંજીવ કુમારની એક્ટિંગ અને તેમની દરેક ફિલ્મો તેમના ચાહકોના દિલ પર મોટી છાપ છોડીને ગઈ છે. એકવાર જો તમે તેમની ફિલ્મને જોઈ લો તો તેને ક્યારેય ભૂલી ન શકો. શોલે, સીતા ઓર ગીતા, આંધી, અંગૂરથી 70 થી 80ના દાયકા સુધી કામ કરનારા અભિનેતા સંજીવ કુમારનુ નિધન 6 નવેમ્બરના રોજ થયુ હતું. મૂળ ગુજરાતી અને સુરતના ગુજરાતી પરિવારમાં જન્મેલા સંજીવ કુમારનું બહુ જ નાની ઉંમરમાં નિધન થયું હતું.

સંજીવ કુમારને 2 રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ફિલ્મ દસ્તક અને કોશિર માટે તેઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા. સંજીવ કુમારમાં ખાસ વાત એ હતી કે, તેઓ પોતાની ઉંમરથી વધુ ઉંમરના પાત્રને પણ બહુ જ સહજતાથી ભજવી લેતા હતા. સંજીવને હંમેશાથી મોતનો ડર સતાવતો હતો. તેઓ મોત ઈચ્છતા ન હતા. પરંતુ તેમને અંદાજ આવી ગયો હતો કે, ઓછી ઉંમરમાં તેમનુ મોત થઈ જશે.

માત્ર 47 વર્ષની ઉંમરમાં સંજીવ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા. તમને આ જાણીને નવાઈ લાગશે કે સંજીવ કુમાર જે પરિવારથી સંબંધ રાખતા હતા, એ પરિવારના પુરુષો 50 વર્ષથી વધુ જીવી શક્તા ન હતા. આ કારણે સંજીવ કુમાર હંમેશા પરેશાન રહેતા હતા. તેમને લાગતુ હતું કે, તેઓ પણ વધુ લાંબો સમય નહિ જીવી શકે. જોકે, બન્યું પણ એવુ જ.

કહેવામાં આવે છે કે, સંજીવ કુમારના મનમાં હેમા માલિની વસી ગઈ હતી. તેઓ હેમા માલિની સાથે લગ્ન કરવા માંગતા હતા. તેથી તેઓએ હેમા માલિનીને પ્રપોઝ પણ કર્યું હતું. પરંતુ હેમા માલિનીએ તેમની ઓફર ઠુકરાવી દીધી હતી. સંજીવ કુમારે પોતાની જિંદગી એકલતામાં જ વિતાવી હતી. તેઓ જિંદગી સામે હારી ગયા હતા. કહેવાય છે કે, જીવનના અંતમાં તેઓ ડિપ્રેશનમાં રહેવા લાગ્યા હતા. તેના બાદ 6 નવેમ્બર 1985ના રોજ સંજીવ કુમાર આ દુનિયાને છોડીને જતા રહ્યા હતા. પરંતુ તેમના પાત્રો આજે પણ લોકમાનસમાં જીવંત રહ્યા છે.

(5:18 pm IST)