Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

દિગ્‍ગજ અભિનેતા દિલીપ કુમારના પાકિસ્‍તાનના પેશાવરમાં આવેલુ નિવાસ સ્‍થાનને સરકાર મ્‍યુઝીયમ બનાવશે

પાકિસ્‍તાન સરકારે પેશાવર પુનરૂદ્ધાર યોજના અંતર્ગત સંગ્રહાલય બનાવવાનો નિર્ણય કર્યો

નવી દિલ્‍હીઃ વિતેલા વર્ષોના યાદગાર અભિનેતા દિલીપ કુમાર અને રાજ કપુરના નિવાસ સ્‍થાન પેશાવરમાં પાકિસ્‍તાન સરકાર ‘પેશાવર પુનરૂદ્ધાર યોજના' અંતર્ગત મ્‍યુઝીયમ અને સંગ્રહાલય બનાવી રાષ્‍ટ્રીય વિરાસત તરીકે ઘોષણા કરવાનો નિર્ણય કર્યો છે.

બૉલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારે 2021માં જુલાઈ મહિનામાં મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પછી બૉલીવુડ જગત, તેમના પરિવાર અને મિત્રોમાં શોકની લાગણી પ્રસરી હતી. તેમની ઉંમર 98 વર્ષ હતી. જ્યારે જ્યારે દિલીપ કુમારની વાત થાય છે ત્યારે તેમના પાકિસ્તાનના પેશાવર સ્થિત તેમના ઘરની વાત જરૂરથી થાય છે. દિલીપ કુમારના નિધન પર ખબર આવી હતી કે પાકિસ્તાન સરકાર અને તેમના ઘરમાં મ્યૂઝિયમ બનાવશે. પાકિસ્તાન સરકાર પહેલાથી જ તેમના પૈતૃક ઘરને રાષ્ટ્રીય વિરાસત તરીકે ઘોષણા કરી છે. અને તેમના નામ પર સંગ્રાલય પણ બનાવવા જઈ રહ્યાં છે.

બૉલીવુડના ટ્રેજેડી કિંગનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ પેશાવરના કિસ્સા ખ્વાની બજાર વિસ્તારમાં તેમના પારિવારીક ઘરમાં થયો હતો. પાકિસ્તાની પત્રકાર શિરાજ હસને ટ્વીટ કરીને કેટલીક તસવીરો બતાવી છે. દિલીપ કુમારના ઘર ઝલક આ ટ્વીટમાં જોવા મળી. ગત વર્ષે પાકિસ્તાનની એક પ્રાંતીય સરકારે પેશાવર પુનરુદ્વાર યોજના અંતર્ગત ભારતના બે મહાન કલાકાર દિલીપ કુમાર અને રાજ કપૂરના પૈતૃક ઘરોને સંગ્રાહલયમાં બદલવાનો નિર્ણય લીધો હતો.

જોકે ઘર જર્જરિત અવસ્થામાં હતું. પરંતુ જ્યારે દિલીપ કુમારે આ તસવીરો જોઈ ત્યારે ટ્વીટર પર તેમણે ભાવનાઓ વ્યક્ત કરી અને આભાર માન્યો. પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વા પ્રાંતીય સરકારે દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો. ખૈબરપખ્તૂનખ્વા પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે તેમને દિલીપ કુમાર તેમના પૈતૃક ગૃહનગરના લોકો માટે તેમનો પ્રેમ અને સ્નેહ હંમેશા માટે કરશે.

એ સમયમાં 11 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાનમાં દિલીપકુમારનો જન્મ થયો હતો. ત્યારે મહંમદ યુસુફ ખાન એ તેમનું સાચું નામ હતું. રૂપેરી પડદા પર આવતા જ તેમણે પોતાનું નામ બદલી નાંખ્યુ અને દિલીપકુમાર તરીકે ઓળખાતા થયા. અદાકારીનો એક્કો ગણાતા દિલીપસાબને બોલીવુડના ટ્રેજેડી કિંગ તરીકે ઓળખવામાં આવે છે. કારણકે, તેમના જેવો સેડ રોલ આજ સુધી કોઈ નથી કરી શક્યું. ઈમોશનલ એક્ટીંગમાં દિલીપસાબ અભિનય નહીં પણ જાણે રિયલ લાઈફમાં હોય એવી એક્ટિંગ કરતા હતાં. એટલાં માટે જ ફિલ્મજગતના માંધાતા ગણાતા સત્યજીત રાયે દિલીપસાબને "the ultimate method actor" તરીકેનું બહુમાન આપ્યું હતું. દિલીપકુમારે હિન્દી ફિલ્મ જગતમાં પોતાની શરૂઆત વર્ષ 1944માં આવેલી જવાર ભાટા ફિલ્મથી કરી હતી.

ત્યાર બાદ દિલીપકુમારે લગભગ 6 દાયકા સુધી ફિલ્મજગતમાં અભિનયના ઓજસ પાથર્યાં. શહીદ, નદિયાં કે પાર, આરઝૂ, આઝાદ, દેવદાસ, નયા દૌર, અંદાજ, આન, ગંગા જમુના, મુગલ-એ-આઝમ, કર્મા, ક્રાંતિ, વિધાતા, શક્તિ, દુનિયા, ઈજ્જતદાર, બૈરાગ, મશાલ અને સૌદાગર જેવી અનેક શાનદાર ફિલ્મોમાં દિલીપકુમારે યાદગાર અભિનય કર્યો. 6 દાયકાના ફિલ્મી સફરમાં દિલીપકુમારને અનેક અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. એટલું જ નહીં દિલીપકુમારને વર્ષ ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અને ૧૯૯૮માં પાકિસ્તાનના સર્વોચ્ચ પારિતોષિક નિશાન-એ-ઇમ્તિઆઝ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે એક સત્ર માટે ચૂંટાયા હતા. 7 જુલાઈ 2021ના રોજ બીમારીને કારણે તેમનું નિધન થયું. એ સમયની જાણીતી અભિનેત્રી અને તેમનાથી ઉંમરમાં લગભગ 22 વર્ષ નાની શાયરાબાનુ સાથે લગ્ન કરીને દિલીપકુમારે તેમને પોતાના જીવનના હમસફર બનાવ્યાં. અને અંતિમ શ્વાસ સુધી દિલીપસાબ શાયરાબાનુની સાથે પ્રેમપૂર્વક રહ્યાં.

(5:21 pm IST)