News of Wednesday, 31st January 2018
આજે ચંદ્ર ગ્રહણ છે. ધાર્મિક માન્યતાઓને બાદ કરીએ તો પ્રકૃતિનો આ ગજબ નજારો ગણાય. ભારતમાં પૂર્ણપણે ગ્રહણ જોવા મળશે. ચંદ્રના કલર બદલાશે, તેમ નિષ્ણાતો કહે છે. બ્લ્યુ-લાલ કલરમાં ચંદ્ર દેખાશે. ગ્રહણ સાથે વિવિધ માન્યતાઓ જોડાયેલી છે. આ માન્યતાઓ ખોટી જ હોય તેમ કહી ન શકાય, પરંતુ નિષ્ણાતાઓ માન્યતાઓને વિજ્ઞાનના દૃષ્ટિકોણથી સાબિત કરવી જરૂરી બને છે.
ગુજરાતીમાં કહેવત છે, ગ્રહણ ટાણે સાપ નીકળ્યો... ગ્રહણ શબ્દનો એક અર્થ છે, અવરોધ. અવરોધ એટલે સ્પીડ બ્રેકર શુભકાર્યમાં અવરોધક બનવું એ પાપ ગણાય. ભારતમાં આવા પાપીઓની અછત નથી.
કાશ્મીરના મુખ્યમંત્રીએ ઘરણ ટાણે સાપ કાઢ્યો છે. પાકિસ્તાની ત્રાસવાદીઓના હાથા બનેલા પથ્થરબાજો એ સેના પર ફરી પથ્થરો વરસાવ્યા. જવાનોએ પોતાની ફરજ બજાવતા બે પથ્થરબાજોને ફૂંકી માર્યા.
જમ્મુ-કાશ્મીર સરકારે જવાનો પર પોલીસ કેસ ઝીંકી દીધો... કાશ્મીરમાં વર્ષોથી 'ગ્રહણ' લાગેલું છે. હવે નિર્ણાયક જેવી સ્થિતિ સર્જાઇ રહી છે. આ સમયે મહેબુબા મુફતી સરકાર અવરોધક બની રહી છે. ભારતમાં ભારતીય સેના પર હુમલા થાય એ રાષ્ટ્રીય શરમ ગણાય. આવા હુમલા કરનારાન સેના ફૂંકી મારે એ જ ઉકેલ હોય. સેના પર એફઆઇઆર થાય એ મહાશરમ ગણાય.
...પણ દેશને શરમ આવતી નથી. શાસક-વિપક્ષ ખેલ જોતો રહે છે. મીડિયા જગતને કંઇ પડી નથી. લોકો પણ આ મુદ્દે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવતા નથી. જગજાહેર છે કે, પથ્થરબાજો પીડીપીના મતદારો છે તેથી આવા ટોળા કાશ્મીર ઘાટીમાં બેફામ દાદાગીરી ચલાવે છે. માનવ અધિકર અને વાણી સ્વાતંત્ર્યના નામે દેશ વિરોધીઓ તાગડધિન્ના કરી રહ્યા છે.
આ દૃશ્યની સામેનું દૃશ્ય જુઓ. યુપીના કાસગંજમાં ત્રિરંગાયાત્રા પર લઘુમતી ટોળાએ હુમલો કર્યો અને તોફાનો થયા. નાના વિસ્તારના તોફાનોને મીડિયાએ-રાજકારણીઓએ મોટુ સ્વરૂપ આપી, બેફામ ચગાવ્યા. જાણે દેશ પર આભ તૂટી પડયું હોય તેવો માહોલ સર્જી દીધો. આવો માહોલ જવાનો પર એફઆઇઆર મામલે કેમ નથી સર્જાતો !
આ ઘટનાઓ પરથી તારણ એ નીકળે છે કે, પાકિસ્તાન તરફી લઘુમતી ટોળા જવાનો પર હુમલા કરે તો કંઇ વાંધો નહિ... ત્રિરંગાના ગૌરવ માટે બહુમતીનું ટોળુ કયારેક આક્રમક બને તો ખટકે છે... આ જેરી વિચાર છે. આવા ઝેરે દેશ પર ૭૦ વર્ષોથી કબ્જો જમાવ્યો છે. મુખ્યમંત્રી મહેબુબા મુફતીનો પોતાના મતદાર ટોળાની દેશ છાવરવાનો અધિકાર કોણે આપ્યો છે ? સત્તાધીશને આવા અધિકાર હોય તો બહુમતીઓના મતથી ચૂંટાયેલી સરકારને અધિકાર કેમ ન મળે ? યોગી સરકારની ઝાટકણી કાઢતા મીડિયા જૂથો અને વિપક્ષો મુફિત સરકાર સામે મૌન રહે એ બાબત અસહ્ય જ ગણાય. હિંસો કોઇ પ્રશ્નનો ઉકેલ નથી, પરંતુ અહિંસક ઉકેલ વન-વે ન હોય. બંને તરફથી હિંસા રોકાવી જોઇએ.