પુણેમાં રમાનારી ચેન્નાઈની મેચો સામે પણ નવું સંકટ
હાઈકોર્ટની મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને પવના ડેમના પાણીનો ઉપયોગ સ્ટેડિયમમાં કરવા સામે મનાઈ
આઈપીએલની મેચમાં ચેન્નાઈ માટે પસંદ કરવામાં આવેલા નવા હોમગ્રાઉન્ડ પુણેમાં મેચના આયોજન સામે નવુ સંકટ આવ્યુ છે. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પવના ડેમના પાણીનો આઈપીએલની મેચો માટે કરવા સામે વધુ આદેશ ન થાય ત્યાં મનાઈ ફરમાવી છે. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને નોટીસ મોકલીને પૂછ્યુ હતું કે પુણેમાં આઈપીએલની મેચો દરમિયાન મેદાનમાં છંટકાવ કરવા માટે પાણી કયાંથી લાવશો? લોકસત્તા મૂવમેન્ટ નામના એનજીઓએ બોમ્બે હાઈકોર્ટમાં આ મામલે એક જાહેર હિતની અરજી કરી હતી. ૨૦૧૬માં આ જ સંસ્થાએ કરેલી અરજીને આધારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાંથી તમામ મેચોને અન્ય સ્થળોએ લઈ જવામાં આવી હતી. અગાઉ કાવેરી પ્રબંધન બોર્ડની રચના માટે કેન્દ્ર સરકારની લાપરવાહી સામે તામિલનાડુમાં ચાલી રહેલા વિરોધ - પ્રદર્શનને જોતાં ચેન્નાઈ સુપર કિંગ્સની મેચોને પુણેમાં ખસેડવામાં આવી હતી.