ICC મેચ ફિક્સિંગ રોકવામાં નિષ્ફ્ળ : શ્રીલંકા ક્રિકેટમાં ઉપર સુધી ભ્રષ્ટાચાર:રણતુંગાએ ફરી ધોકો પછાડ્યો
કોલંબોઃઆઈસીસી મેચ ફિક્સિંગ રોકવા નિષ્ફ્ળ ગયાનો આરોપ લગાવી વિશ્વ કપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગાએ કહ્યું કે, શ્રીલંકામાં ભ્રષ્ટાચાર ઉપર સુધી ફેલાયેલો છે.રણતુંગા અત્યારે સરકારી મંત્રી છે. તેમણે કહ્યું કે, શ્રીલંકામાં ભ્રષ્ટાચાર અલ-જજીરા દ્વારા દેખાડેલા સ્ટિંગ ઓપરેશનમાં કરાયેલા દાવાઓથી ઘણા મોટો સ્તર પર છે.
રણતુંગાએ કહ્યું કે, આરોપોની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું, પરંતુ આ લાંબા સમયથી ચાલતું હશે. આ તે વસ્તુ છે જે શ્રીલંકામાં ઉપરના સ્તર સુધી ફેલાયેલી છે. આ તો મોટા તળાવમાં નાની માછલીની જેમ છે. હંમેશાની જેમ મોટી માછલી બચી જશે. સ્ટિંગ ઓપરેશનમાં આરોપ લગાવવામાં આવ્યો કે, શ્રીલંકન ખેલાડી અને મેદાનકર્મી પિચ સાથે છેડછાડના ષડયંત્રમાં સામેલ હતા. આ સિવાય ભારત અને ઈંગ્લેન્ડ તથા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ દરમિયાન સ્પોટ ફિક્સિંગ સામે આવ્યું હતું.
રણતુંગાએ શ્રીલંકા ક્રિકેટ વિરુદ્ધ પાછળની ફરિયાદોનો ઉલ્લેખ કરતા કહ્યું, હું આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી એકમથી ખૂબ નિરાશ છું. તે આ પહેલા શ્રીલંકા ક્રિકેટના અધ્યક્ષ તિલંગા સુમપિતાલા પર જુગાર રમવામાં સામેલ હોવા માટે આઈસીસી નિયમોના ભંગનો આરોપ લગાવી ચૂક્યા છે. પરંતુ આ રાજનેતા અને ઉદ્યોગપતિએ આ આરોપોનો ઈનકાર કર્યો હતો. રણતુંગાએ પત્રકારોને કહ્યું, તે ન જોઈ શકતા હોય કે શ્રીલંકામાં શું થઈ રહ્યું છે તો તેને આ ભ્રષ્ટાચાર વિરોધી એકમમાં સામેલ ન થવું જોઈએ.