ટી-૨૦ વર્લ્ડકપમાં ટોપ ૩ બેટર તરીકે રોહિત, કિશન અને રાહુલને રમાડોઃ સેહવાગ
કોહલીની બાદબાકી, ઉમરાનનો પણ ટીમમાં સમાવેશ કરવો જોઇએ
નવી દિલ્હી : આ વર્ષ ઓકટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં કેવા અને કયા ખેલાડીઓનો સમાવેશ કરવોએ વિશે ભારતના ક્રિકેટ- નિષ્ણાતો પોતપોતાનાં મંતવ્ય આપી રહ્યા છે, ભૂતપૂર્વ આક્રમક્ર ઓપનર વીરેન્દર સેહવાગે ટીમની શરૂઆતના બેટર્સના સિલેકશનની બાબતમાં ધડાકો કર્યો છે. તેણે ટોચના ત્રણ બેટર્સ તરીકે રોહિત શર્મા, ઇશાન, કિશન અને કે.એલ. રાહુલના નામ આપ્યા છે, પરંતું વિરાટ કોહલીની બાદબાકી કરી નાખી છે.
કોહલી હાલ ટીમનો વનડાઉન બેટર છે. સેહવાગે કહ્યું કે ‘ભારત પાસે ટી૨૦માં હવે ઘણા હાર્ડ- હિટર્સ છે અને એમા ટોચના ત્રણ બેટર્સ માટે હું રોહિત, ઇશાન અને કે.એલ. રાહુલને જ ઓસ્ટ્રેલિયા મોકલવાનું પસંદ કરીશ. મારી દૃષ્ટિએ રાઇટ-હેન્ડ અને લેફટ- હેન્ડના કોમ્બિનેશન તરીકે રોહિત-ઇશાન અને રાહુલ-ઇશાન બહુ સારા પાર્ટનર્સ સાબિત થઇ શકશે.
વીરુએ કહ્યુ કે ‘થોડા સમયથી હું ઉમરાન મલિકની બોલિંગથી ખૂબ પ્રભાવિત થયો છુ. ટી૨૦ વર્લ્ડ કપ માટેના બોલિંગના પ્લાનમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમીની સાથે બાવીસ વર્ષનો ઉમરાન મલિક હોવો જ જોઇએ.