૨૩ વર્ષના સરદાર અઝમોઉને નિવૃત્તિ જાહેર કરી
નવી દિલ્હી: 'ઈરાનીયન મેસી' તરીકેની ઓળખ ધરાવતા ૨૩ વર્ષના સરદાર અઝમોઉને વર્લ્ડ કપના ફ્લોપ શો બાદ અચાનક જ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. અઝમોઉને નિવૃત્તિની જાહેરાત કરતાં કહ્યું કે, વર્લ્ડ કપમાં ફ્લોપ શોને કારણે ઈરાનના ચાહકોએ મારું અપમાન કરતાં મારી માતાને ખુબ જ આઘાત લાગ્યો હતો અને તે બીમાર થઈ ગઈ હતી. જેના કારણે હું હવે ઈરાન તરફથી રમવા માગતો નથી. વર્લ્ડ કપ અગાઉ અઝમોઉને ઈરાન તરફથી ૩૩ મેચમાં ૨૩ ગોલ ફટકાર્યા હતા. જોકે વર્લ્ડ કપમાં તે એક પણ ગોલ નોંધાવી શક્યો નહતો. નિવૃત્તિની જાહેરાત કરતાં અઝમોઉને કહ્યું કે, આ નિર્ણય મારા માટે આઘાતજનક છે. અઝમાઉલ રશિયન ફૂટબોલ કલબ રુબીન કઝાન તરફથી રમી રહ્યો છે. તેણે કહ્યું કે, વર્લ્ડ કપમાં કંગાળ દેખાવ બાદ જે પ્રકારે મારી ટીકા થઈ તેનાથી મારી માતાને ખુબ જ દુ:ખ થયું. તેની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી. જોકે હું ખુશ છું કે તે હવે સ્વસ્થ થઈ ગઈ છે. અઝમોઉલે કહ્યું કે, કેટલાક ક્રૂર લોકોએ મારુ અને મારા સાથીઓનું અપમાન કર્યું, તેનાથી મારી માતાની હાલત વધુ ગંભીર બની હતી.