ખેલ-જગત
News of Monday, 28th June 2021

વિરાટ કોહલીના સ્‍થાને રોહિત શર્માને વર્લ્‍ડકપ પહેલા ટી20 ટીમનો કેપ્‍ટન બનાવી દેવો જોઇએઃ ઇંગ્‍લેન્‍ડના પૂર્વ સ્‍પીનર મોન્‍ટી પાનેસરેનું મંતવ્‍ય

નવી દિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવાની શાનદાર તક હતી, પરંતુ ભારતેતેને ગુમાવી દીધી. આ નિષ્ફળતા બાદ વિરાટ કોહલીની કેપ્ટન તરીકે આલોચના થઈ રહી છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતની સતત ત્રીજી આઈસીસી ઇવેન્ટમાં હાર થઈ છે. વિરાટની આ હાર બાદ અલગ-અલગ કેપ્ટન બનાવવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો છે. ઘણા દિગ્ગજોનું માનવું છે કે રહિતને ટી20 ટીમની કમાન આપવી જોીએ જેથી તેનો કાર્યભાર થોડો ઓછો થઈ જાય.

હવે ઈંગ્લેન્ડની ટીમના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે પણ રોહિત શર્માને ટી20ની કમાન સોંપવાની વાતનું સમર્થન કર્યુ છે. પાનેસરે ક્રિકબાઉંસર સાથે વાત કરતા કહ્યુ કે, મને લાગે છે કે ભારતે ટી20 ટીમની કમાન રોહિતને સોંપવી જોીએ અને તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમાં ખુબ સારી કેપ્ટનશિપ કરી છે. વિરાટ વિશે પાનેસરે કહ્યુ કે, વિરાટ કોહલી આ સમયે દબાવમાં છે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની સાથે ત્યારબાદ ભારતે જો ટી20 વિશ્વકપનું ટાઇટલ ન અપાવી શકે તો બધાને ખ્યાલ છે શું થશે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્માનો ટી20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે સારો રેકોર્ડ રહ્યો છે. તેણે પોતાની ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવી છે અને તેને જ્યારે ટીમ ઈન્ડિયાની કમાન મળી છે ત્યારે પણ સારૂ પ્રદર્શન કર્યુ છે. રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ એશિયા કપ અને નિદાહસ ટ્રોફી જીતી હતી. તો ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમશે જેની શરૂઆત 4 ઓગસ્ટથી થશે. ત્યારબાદ આઈપીએલ પાર્ટ ટૂનું આયોજન થશે અને પછી ટી20 વિશ્વકપ શરૂ થવાનો છે.

(5:23 pm IST)