ખેલ-જગત
News of Saturday, 28th March 2020

અમે સમયસર ન્યુઝીલેન્ડથી પરત ફર્યા, ક્રિકેટમાંથી બ્રેક મળ્યો એ ટીમ માટે સારૃઃ શાસ્ત્રી

વર્લ્ડકપથી અત્યાર સુધી અમે માત્ર ૧૦ થી ૧૧ દિવસ જ રહ્યા છીએ

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ઙ્કઅત્યારે મળેલો બ્રેક ભારતીય ક્રિકેટ માટે સારી વસ્તુ છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝના અંતે ટીમનો માનસિક થાક આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા. તેમજ ફિઝિકલ ફિટનેસ અને ઇજાની સમસ્યા પણ સામે આવી રહી હતી. અમે છેલ્લા ૧૦ મહિનાથી સતત રમી રહ્યા હતા અને હવે તેની અસર થઈ રહી હતી. હું અને મારો સપોર્ટ સ્ટાફ ૨૩ મેના રોજ વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ રવાના થયા હતા. ત્યારથી લઈને અત્યારસુધીમાં અમે માત્ર ૧૦-૧૧ દિવસ ઘરે રહ્યા હતા.

શાસ્ત્રીએ કહ્યું કે, અમુક ખેલાડીઓ ત્રણેય ફોર્મેટમાં રમે છે. તો તમે વિચારી શકો છો તેમની શુ હાલત થતી હશે. સતત ટી-૨૦થી  ટેસ્ટમાં શિફ્ટ થવું અઘરું છે. તે ઉપરાંત અમે સતત ટ્રાવેલ પણ કર્યું છે. ઇંગ્લેન્ડ પછી અમે વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકામાં રમ્યા. ત્યારબાદ અઢી મહિના હોમ સીઝન ચાલી અને તેના પછી ન્યૂઝીલેન્ડ ગયા હતા. તેથી આ આરામ મળવો પ્લેયર્સ અને ટીમ માટે બહુ સારો છે.

જયારે દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે રદ્દ થઈ ત્યારે ખબર હતી કે કંઈક થશે અને લોકડાઉનનું પગલું જરૂરી હતું. પ્લેયર્સને ન્યૂઝીલેન્ડ સીરિઝથી આ અંગે આઈડિયા હતો. તે ટૂરના અંતે જે રીતે ફ્લાઇટ્સ સિંગાપુરથી આવી રહી હતી, જઇ રહી હતી, તેના પરથી અંદાજો આવી ગયો હતો. મને લાગે છે કે અમે ઇન્ડિયા ટાઈમ પર પાછા ફર્યા. ત્યારે ન્યૂઝીલેન્ડમાં માત્ર ૨ કેસ હતા, અત્યારે ૩૦૦થી વધુ છે. અમે ભારત પાછા ફર્યા ત્યારે જ એરપોર્ટ પર સ્ક્રીનીંગની શરૂઆત થઈ હતી અને લોકોનો ટેસ્ટ થઈ રહ્યો હતો.

(3:45 pm IST)