ઇન્ડીયન પ્રિમીયર લીગ માટે ૧૮ ફેબ્રુઆરીઍ ક્રિકેટરોની ચેન્નાઇમાં હરરાજીઃ ઍપ્રિલના મધ્યમાં આઇપીઍલ યોજાવાની શક્યતા
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ યોજાશે. આ હરાજી ચેન્નાઇમાં યોજાશે. IPL તરફથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે.
IPLએ પોતાના ટ્વીટમાં કહ્યુ, “IPL ખેલાડીઓની હરાજી 18 તારીખે ચેન્નાઇમાં યોજાશે. આ વર્ષે IPLમાં ખેલાડીઓની હરાજીને લઇને તમે કેટલા રોમાંચિત છો.”
આ હરાજી 18 તારીખે એટલા માટે રાખવામાં આવી છે કારણ કે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સિરીઝની બીજી ટેસ્ટ મેચ ચેન્નાઇમાં જ 17 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. ચેન્નાઇમાં ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 4 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ રમશે. બીજી ટેસ્ટ મેચ 13થી 17 ફેબ્રુઆરી સુધી આયોજિત કરવામાં આવશે.
હજુ સુધી IPLની તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે, એવુ માનવામાં આવી રહ્યુ છે કે તેની શરૂઆત એપ્રિલના મધ્યમાં થઇ શકે છે. IPL 2021ના આયોજન સ્થળને લઇને પણ મીટિંગ દરમિયાન અંતિમ નિર્ણય લેવામાં આવશે.
મોટા ખેલાડીઓને કરવામાં આવ્યા છે રિલીઝ
મહત્વપૂર્ણ છે કે ખેલાડીઓને રિટેન કરવાની અંતિમ તારીખ 20 જાન્યુઆરી હતી. ટ્રેડિંગ વિંડો (ખેલાડીઓનું એક ટીમમાંથી બીજી ટીમમાં ટ્રાન્સફર) ચાર ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. અલગ અલગ ટીમ તરફથી રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ (રાજસ્થાન રોયલ્સ) અને ગ્લેન મેક્સવેલ (કિંગ્સ ઇલેવન પંજાબ) જેવા દિગ્ગજ સામેલ છે.