મારો અને વિરાટનો તાલમેલ સારોઃ રહાણે
અમે હંમેશા એકબીજાની રમતનું સન્માન કરીએ છીએઃ ખેલાડીને ફોર્મમાં આવવા માટે સારી ઇનીંગની જરૂર
નવી દિલ્હી, તા.૨૭, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝમાં ઐતિહાસિક જીતમાં પોતાની કેપ્ટનશિપથી દિલ જીતનારા અજિંક્ય રહાણેએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, તેમની ટીમના કેપ્ટન વિરાટ કોહલી છે અને જરૂર પડવા પર જ તે કેપ્ટનશિપ કરીને ખુશ છે.
રહાણેએ કહ્યું કે, વિરાટ ટેસ્ટ ટીમમાં કેપ્ટન હતા અને રહેશે. હું વાઈસ કેપ્ટન છું. તે ન હોવાથી મને કેપ્ટનશિપ અપાઈ હતી અને મારું કામ ટીમ ઈન્ડિયાની સફળતા માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હતું. મારો અને વિરાટનો તાલમેલ હંમેશા સારો છે. તેણે અવાર-નવાર મારી બેટિંગની પ્રશંસા કરી છે. અમે ટીમ માટે ભારતમાં અને વિદેશમાં ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે. તે ચોથા નંબર પર ઉતરે છે અને હું પાંચમા નંબરે, એટલે અમારી ઘણી ભાગીદારીઓ બની છે. અમે હંમેશા એકબીજાની રમતનું સન્માન કર્યું છે.