ખેલ-જગત
News of Sunday, 26th May 2019

પીઢ દિનેશ કાર્તિકની ભૂમિકા પણ નિર્ણાયક બને તેવા સંકેત

ચાર નંબર ઉપર તકલીફને દૂર કરી શકે છે : ધોની સિવાય ટીમ ઇન્ડિયામાં ટોપ ફિનિશર તરીકે ભૂમિકા અદા કરવામાં સક્ષમ છે : ટેકનિકની દ્રષ્ટિએ પણ આક્રમક

લંડન,તા.૨૬ : વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પ્રબળ દાવેદાર તરીકે ઉતરી રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમમાં એવા અનેક ખેલાડી છે જે ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે. આમાં એક ખેલાડી દિનેશ કાર્તિક પણ છે. દિનેશ કાર્તિકે હજુ સુધી ૯૧ વનડે મેચો રમી છે. જેમાં દિનેશ કાર્તિકે ૧૭૩૮ રન કર્યા છે. તેની સરેરાશ ૩૧ રનની રહી છે. તેને અંતિમ ઇલેવનમાં તક મળશે કે કેમ તેને લઇને ચર્ચા છે. જો કે તે ટીમમાં તક મળવાની સ્થિતીમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે. પાંચમી સપ્ટેમ્બર ૨૦૦૪ના દિવસે લોર્ડસના મેદાન ખાતે ઇંગ્લેન્ડની સામે ડેબ્યુ કર્યા બાદ દિનેશ કાર્તિકે વનડે મેચોમાં નવ અડધી સદી ફટકારી છે. દિનેશ કાર્તિકે પોતાની કેરિયરમાં ૬૧ કેચો ઝડપ્યા છે. ભારતીય ટીમ ચોથા સ્થાનને લઇને પરેશાન છે. આવી સ્થિતીમાં ચોથા સ્થાન પર દિનેશ કાર્તિકને તક મળી શકે છે. દિનેશ કાર્તિકમાં અનેક કુશળતા રહેલી છે તે કોઇપણ પોઝિશન ઉપર રમી શકે છે. બીજી વિશેષતા એ છે કે, તે ફિનિશર તરીકેની ભૂમિકા સારીરીતે અદા કરી શકે છે. આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી તેની ભૂમિકા શાનદાર રહી હતી. વર્લ્ડકપમાં પણ જો તેને તક મળશે તો સારો દેખાવ કરી શકે છે. ચાર નંબર ઉપર તેની બેટિંગની જરૂર પડી શકે છે. ટુર્નામેન્ટમાં કેટલીક વખત તેની ભૂમિકા નિર્ણાયક રહેશે. મૂળભૂતરીતે તે વિકેટકીપરની સાથે સાથે બેટ્સમેન તરીકે રહ્યો છે. ૩૦મી મેના દિવસથી વર્લ્ડકપની શરૂઆત થયા બાદ ૧૪મી જુલાઈ વર્લ્ડકપ ચાલશે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. વર્લ્ડકપની પ્રથમ મેચ ઓવલમાં રમાશે જ્યારે ફાઈનલ મેચ લોડ્ઝમાં રમાશે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડકપનું ાયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. વર્લ્ડકપમાં ૧૦ ટીમોમાં અગાઉના વર્લ્ડકપ કરતા ટીમો ઓછી રહી છે. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી. વનડે રેંકિંગમાં ઇંગ્લેન્ડ હાલમાં અન્ય ટોપ ટીમોમાં પ્રથમ સ્થાને છે. હાલની સફળતા બાદ ઇંગ્લેન્ડ પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવે છે.

(7:34 pm IST)