વર્લ્ડ કપ પહેલા વિજય શંકરની ઈજાએ વધાર્યું કોહલીનું 'ટેન્શન'
મુંબઇઃ ટીમ ઈન્ડિયાને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ની તૈયારી માટે બે વોર્મ-અપ મેચ રમવાની છે, જેમાંથી પહેલી મેચ તેઓ ન્યૂઝીલેન્ડની સામે શનિવાર (આજે) રમશે. જોકે, આ મેચ પહેલા ઓલરાઉન્ડર વિજય શંકરની ઈજાએ કેપ્ટન કોહલીને ટેન્શનમાં મૂકી દીધો છે.
વેબસાઇટ ઈસીએસપીએન ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, વિજય શંકરે શુક્રવારે પ્રેક્ટિસ દરમિયાન જમણા હાથમાં ઈજા થઈ અને તે તાત્કાલિક મેદાન છોડી બહાર ચાલ્યો ગયો. શંકર આ પ્રેક્ટિસ દરમિયાન ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની સાથે બીજા ગ્રુપમાં સામેલ હતો.
વિજય બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે ભારતીય ટીમને પ્રેક્ટિસ કરાવવા માટે ઈંગ્લેન્ડ થયેલા ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહમખની બાઉન્સર પુલ કરવા ગયો અને બોલ તેના હાથમાં વાગ્યો. તે તાત્કાલિક મેદાન છોડીને બહાર જતો રહ્યો. શંકરની આ ઈજાએ કેપ્ટન કોહલી ઉપરાંત કોચ રવિ શાસ્ત્રી તથા ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી દીધી છે.
જોકે, બીસીસીઆઈએ શંકરની સ્થિતિ પર હજુ સધી કોઈ ઔપચારિક સ્પષ્ટીકરણ નથી આપ્યું. ભારતીય ટીમ આશા રાખશે કે શંકરની ઈજા ગંભીર ન હોય. આ ઓલરાઉન્ડર પ્લેયરને ટીમ ઈન્ડિયામાં નંબર-૪ના પોઝિશન માટે ધાકડ પ્લેયર અંબાતી રાયડૂને બદલે મહત્વ આપવામાં આવ્યું છે.