ક્રિકેટ રસીકોને ઝકડી રાખવા માટે સ્પષ્ટ ટી.-ર૦ પર ભાર મુકવો જ પડશે : ભુતપૂર્વ કેપ્ટન ગાંગુલીનો મત
કોલકાતા, તા. ૨૪ ફેબ્રુઆરી 2018, શનિવાર ભારતના ભુતપુર્વ કેપ્ટન અને બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક ફંકશન દરમ્યાન તેનું મંતવ્ય આપ્યું હતું કે જો ક્રિકેટમાં ચાહકોનો રસ જાળવી રાખી ક્રિકેટની રમતને જીવંત રાખવી હશે તો ટવેન્ટી-૨૦ ક્રિકેટની વધુ ને વધુ મેચોનું આયોજન કરવું જ રહ્યું. ટેસ્ટ ક્રિકેટ અને વન ડે ક્રિકેટનું જ આયોજન વધુ થતું રહેશે તો ચાહકો રસ ગુમાવતા જશે. ગાંગુલીએ મનિષ પાંડે અને હાર્દિક પંડયા સહિત ભારતને જે પણ યુવા ખેલાડીઓ મળ્યા છે તે ટવેન્ટી-૨૦ ક્રિકેટને આભારી છે તેમ જણાવ્યું હતું. તેણે યાદ કર્યું હતું કે, સેહવાગ અને હરભજન સિંઘ પણ એવા ખેલાડીઓ હતા જેઓને વધુ ને વધુ તક અપાતા તેઓ નિખરતા ગયા હતા. ગાંગુલીએ ધોનીની આ વયે પણ જોરદાર પરફોર્મ કરવાનો હોંસલો અને ફિટનેસને બિરદાવીને કહ્યું હતું કે આજે પણ ભારતીય ક્રિકેટ ટીમની ધોની વગર કલ્પના કરવી મુશ્કેલ છે. તેણે એક અલગથી કરેલા નિવેદનમાં એવું જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટદારોએ ભારતીય ક્રિકેટ બોર્ડ હેઠળના જે એસોસિએશનો છે તેઓને ભલામણો પ્રમાણે માળખુ ગોઠવીને તેનો અમલ શરૃ થયો છે કે નહીં તેનો રીપોર્ટ આપવા જણાવ્યું છે પણ મને સમયનો અભાવ હોઇ પ્રમુખ તરીકે જે મીટિંગો, નિર્ણય પ્રક્રિયા હોય તે પ્રમાણે કરી નથી શક્યો તેથી નિયત મર્યાદામાં બંગાળ ક્રિકેટ એસોસિએશને હજુ જસ્ટિસ લોઢા અને વિનોદ રાયની કમિટિના સૂચનો પ્રમાણે એસોસિએશનને કાર્યશીલ નથી બનાવ્યું.