પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનો સતત બીજો વિજયઃ કાલે ભારત-અફઘાન ટકરાશે
દુબઇ : પ્રતિષ્ઠિત એશિયા કપ પાકિસ્તાન સામે ૯ વિકેટે જીત બાદ ભારતીય ટીમ આવતીકાલે અફઘાનિસ્તાન સામે રમનાર છે. ભારતીય ટીમ પહેલાથી જ ટોપ પર છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે વર્તમાન એશિયા કપમાં હજુ સુધી એક પણ મેચ ગુમાવી નથી. આવી સ્થિતીમાં તે જીતના સિલસિલાને જાળવી રાખવા માટે સજ્જ છે. આવતીકાલે રમાનારી મેચમાં ભારતીય ટીમ કેટલાક નવા ચહેરાને તક આપી શકે છે. અફઘાનિસ્તાન સુપર ફોરમાં તેમની સતત બે મેચ હારીને હવે બહાર થઇ ગયુ છે. ગઇકાલે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાન પર સતત બીજી મોટી જીત મેળવી હતી. પાકિસ્તાને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટે ૨૩૭ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર એક વિકેટ ગુમાવીને ૨૩૮ રન કરીને આ મેચ જીતી ગઇ હતી. પાકિસ્તાન પર વર્તમાન એશિયા કપમાં ભારતની આ બીજી જીત હતી. જીતવા માટેના ૨૩૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે આ રન માત્ર ૩૯.૩ ઓવરમાં બનાવી લીધા હતા.
ભારત તરફથી શિખર ધવને ૧૦૦ બોલમાં ૧૬ ચોગ્ગા એ બે છગ્ગા સાથે ૧૧૪ રન કર્યા હતા. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ ૧૧૯ બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૧૧ રન કર્યા હતા. પ્રથમ વિકેટની રેકોર્ડ ૨૧૦ રનની ભાગીદારી થઇ હતી. રોહિત શર્મા જ્યારે ૨૯ રન પર રમી રહ્યો હતો ત્યારે તેનો સરળ કેચ પડતો મુકી દેવામાં આવ્યો હતો. હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહેલા શિખર ધવને ૧૫મી જયારે રોહિતે કેરીઅરની ૧૯મી સદી ફટકારી હતી.(૩૭.૧૨)